ડભોઈ તાલુકા સેવા સદન ખાતે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા.
‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં હાલ તાલુકા કક્ષાના કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે ડભોઈના તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ અને કલેક્ટરશ્રી અતુલ ગોરની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
મહાનુભાવો સાથે આ કાર્યક્રમમાં હાજર સૌ લોકોએ એક મુઠ્ઠી માટી હાથમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત અમૃતકાળના પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. માતૃભૂમિની માટી, વીર જવાનો પ્રત્યે આદર દર્શાવવા મુઠ્ઠીભર માટી સાથે સામૂહિક પ્રતિજ્ઞા લીધા બાદ આ માટી અમૃત કળશમાં એકત્ર કરવામાં આવી હતી. અહીં શ્રી મહેતા, શ્રી પટેલ અને શ્રી ગોરના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદો તથા માતૃભૂમિનું ગૌરવગાન કરતી સ્મારક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદ જવાનોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. વસુધા વંદન કાર્યક્રમ બાદ વસુધા વાટિકામાં ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ અને કલેક્ટરશ્રી ગોર સહિતના મહાનુભાવોએ રોપાઓનું વાવેતર કર્યું હતું.
આ પ્રસંગે ઉક્ત મહાનુભાવોએ પંચ પ્રણને અનુસરી ગામના વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી હતી. તેમજ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને વળગી રહીને માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા સાથે રાષ્ટ્રસેવાનો તેમણે અનુરોધ કર્યો હતો. કલેક્ટરશ્રી અતુલ ગોરે ભારતને વિકસિત બનાવવા માટે યથોચિત યોગદાન આપવા અપીલ કરી વસુધા વાટિકામાં વાવવામાં આવેલા વૃક્ષોનું જતન કરવા પણ અનુરોધ કર્યો હતો.
પોલીસકર્મીઓની એક ટુકડી સાથે ધારાસભ્યશ્રી મહેતાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી. આ સાથે આરોગ્ય તપાસણી કેમ્પ અને આયુષ્માન કાર્ડના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો નાગરિકોએ લાભ લીધો હતો.
તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વ્યાવસાયિક કલાકારોએ દેશભક્તિના ગીતોના સૂર રેલાવ્યા હતા, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમને વ્યક્ત કરતી વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પહેલા સવારે ડભોઈ પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ડભોઈના મુખ્ય માર્ગો પર નીકળતા સમગ્ર ડભોઈ ફરી દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
દેશના વીરોને સમર્પિત આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી લોપાબેન, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ, પ્રાંત અધિકારી શ્રી યોગેશ કાપસે, નોડલ અધિકારી ડો. સુધીર જોશી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પારસ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ડભોઈ તાલુકા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ, ડભોઈ પોલીસનો સ્ટાફ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.