40 લાખની કિંમતની એન્ટિબાયોટિક્સ અને ગર્ભપાતની ગોળીઓ, તપાસમાં લાગ્યો 'ચુનો'
દવાઓ પર તેના ઉત્પાદકનું નામ 'મેગ લાઇફ સાયન્સ, સિરમૌર, હિમાચલ પ્રદેશ' લખેલું હતું. અધિકારીઓએ જ્યારે હિમાચલ પ્રદેશના ડ્રગ કંટ્રોલરનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે આવી કોઈ કંપની ત્યાં અસ્તિત્વમાં નથી.
અમદાવાદ: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાંથી બે અલગ-અલગ જગ્યાએથી આશરે રૂ. 40 લાખની કિંમતની ગર્ભપાત માટે વપરાતી નકલી એન્ટિબાયોટિક્સ અને દવાઓ જપ્ત કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે આ સંબંધમાં પૂછપરછ માટે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના કમિશનર એચજી કોસિયાના એક નિવેદન અનુસાર, એક સૂચનાના આધારે કાર્યવાહી કરતા, FDCA અધિકારીઓએ ગુરુવારે હિંમતનગરના ગિરધરનગર વિસ્તારમાં એક દવાની દુકાન પર દરોડો પાડીને નકલી એન્ટિબાયોટિકનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો.
કોશિયાએ જણાવ્યું હતું કે જપ્તીમાં રૂ. 25 લાખની કિંમતની નકલી એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે, જેમાં સેફિક્સાઈમ, એઝિથ્રોમાસીન અને બેસિલસ જેવા ઘટકો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ વાસ્તવિક એન્ટિબાયોટિક્સની મદદથી ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે. કોસિયાએ કહ્યું કે દવાઓ પર તેના ઉત્પાદકનું નામ 'મેગ લાઇફ સાયન્સ, સિરમૌર, હિમાચલ પ્રદેશ' લખેલું હતું. અધિકારીઓએ જ્યારે હિમાચલ પ્રદેશના ડ્રગ કંટ્રોલરનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે આવી કોઈ કંપની ત્યાં અસ્તિત્વમાં નથી. જાહેરનામા મુજબ, જ્યારે દુકાન માલિક હર્ષ ઠક્કર આ દવાઓનું કોઈ વેચાણ કે ખરીદીનું બિલ બતાવી શક્યા ન હતા, ત્યારે આ દવાઓ નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી દવાઓના ચાર નમૂનાઓ વિશ્લેષણ માટે વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ નકલી દવાઓનો સ્ત્રોત શોધવા ઠક્કરની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાદમાં, FDCA ટીમે હિંમતનગર ટાઉન હોલ નજીકના એક મકાનમાં દરોડો પાડ્યો હતો અને 12.74 લાખ રૂપિયાની કિંમતની ગર્ભપાતની દવાઓ અને અન્ય દવાઓ જપ્ત કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું. આ દરમિયાન અધિકારીઓને ખબર પડી કે સ્વામિનારાયણ મેડિકલ એજન્સીના માલિક ધવલ પટેલે સત્તાવાળાઓની પરવાનગી લીધા વિના આ દવાઓ પોતાના ઘરે ગેરકાયદે વેચાણ માટે સંગ્રહિત કરી છે.
એફડીસીએએ કહ્યું કે લેબોરેટરીના પરિણામો મળ્યા બાદ તે ઠક્કર અને પટેલ વિરુદ્ધ કાયદા મુજબ કોર્ટ કાર્યવાહી શરૂ કરશે. જાહેરનામા મુજબ, આ દવાઓ કોની પાસેથી લીધી અને ક્યાં વેચી તે જાણવા માટે બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં કહેવાયું છે કે સત્તાવાળાઓએ ગુજરાતના વિવિધ શહેરોમાં દરોડા પાડીને રૂ. 17.5 લાખની કિંમતની નકલી એન્ટિબાયોટિક્સ જપ્ત કરી અને ચાર લોકોની અટકાયત કર્યાના દિવસો બાદ આ વિકાસ થયો છે. FDCA એ અહેવાલ આપ્યો હતો કે આમાંના કેટલાક લોકો "અનામી" કંપનીઓના તબીબી પ્રતિનિધિ તરીકે કામ કરતા હતા અને ચિકિત્સકોને નકલી દવાઓ સપ્લાય કરતા હતા.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.