મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારવાના સંકલ્પ સાથે અંબાજીમાં ૧૦ હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું લોકાર્પણ કર્યુ, સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના વન કવચ નિર્માણની નેમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થતાં પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ અપનાવીને તથા વૃક્ષોના જતન-સંવર્ધનથી ગ્રીન કવર વધારવાનું પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ગુજરાતને ગ્રીન ગ્રોથ-હરિત વિકાસની નવી ઊંચાઇએ લઇ જવું છે.તેમણે ક્લાયમેટ ચેંજ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ જતનની લડાઇ લડીને આપણી આવનારી પેઢીને સ્વસ્થ ભવિષ્ય આપવાનો સંકલ્પ કરવા પણ આ તકે આહવાન કર્યુ હતું.
રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન અંબાજી પ્રોજેક્ટ અન્વયે વન વિભાગે ગબ્બર પર્વત નજીક મીયાવાકી પદ્ધતિથી તૈયાર કરેલા ૧૦ હજાર રોપાઓના વન કવચનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગુજરાતમાં ગ્રીન કવરની વૃદ્ધિ સાથે વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં વધારો કરવા સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના આવા વન કવચની નેમ દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી તથા તેની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં કુદરતી રીતે બીજ નથી પહોંચતા અને ધીરે-ધીરે વનસ્પતિનું આવરણ ઓછું થતું જાય છે તેવા ૧૦૦ થી ર૦૦ હેક્ટર વિસ્તારોમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ અને સીડ વાવેતરનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મિશન લાઇફ અન્વયે પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવાનો જે વિચાર આપેલો છે તેને અનુસરતાં ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે ઉદ્યોગો પણ વધે તે માટેની રાજ્ય સરકારની ભૂમિકાની છણાવટ કરી હતી. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં સાંસ્કૃતિક વનોના નિર્માણનો પ્રારંભ અંબાજીમાં માંગલ્ય વનથી કરાવ્યો હતો. આજે આવા રર વનો રાજ્યભરમાં છે અને અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં મોટાપાયે વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક ઊભા કરવામાં આવી રહ્યા છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગયા વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસથી રાજ્યમાં નમો વડ વન યોજના થકી ૮ર સ્થળોએ ૭પ વડ વૃક્ષોના વાવેતરને વ્યાપક લોકપ્રતિસાદ મળ્યો છે. દરિયાઇ ખારાશ વધતી અટકાવવા વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ‘મિષ્ટી’ પ્રોજેક્ટ અન્વયે ગુજરાતમાં ૧૧ જિલ્લામાં રપ સ્થળો સહિત દેશભરમાં ૭પ સ્થળોએ મેન્ગ્રુવ વાવેતર માટે આ વર્ષના પર્યાવરણ દિવસથી લોકજાગૃતિ જગાવવામાં આવી રહી છે તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમીરગઢ ખાતે પવિત્ર ઉપવનનું લોકાર્પણ, આંતરોલી-થરાદ ખાતે પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ, વોટ્સએપ દ્વારા ઉદ્યોગોને CTE/CCAના ઓનલાઇન હુકમો આપવાની શરૂઆત, GPCB દ્વારા જાપાનીઝ ભાષામાં પર્યાવરણીય કાયદાઓ અંતર્ગત મંજૂરીઓ માટે માહિતી આપતા પુસ્તકની ચોથી આવૃતિનું વિમોચન, પર્યાવરણીય ઓડિટીંગ, મોનીટરીંગ અને ટેકનોલોજી પર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ માટે ચારૂસેટ યુનિવર્સિટી સાથે MOU અને “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી દરમિયાન પ્રદુષણમુક્ત ગામ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર સરપંચશ્રીઓનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું. વર્ષ-2021 માં ટીમરું પાનની હરાજીથી ઉલજેલ નફાનો DBT મારફત લાભાર્થીઓને નફાની વહેંચણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રીન ગ્રોથ-પર્યાવરણ પ્રિય વિકાસ માટે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પ્રાધાન્ય આપ્યું છે તેની વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે પણ આ વર્ષે પાંચ સ્થંભ આધારિત વિકાસ બજેટમાં ગ્રીન ગ્રોથનો સમાવેશ કર્યો છે. તેમણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો, સૌર ઊર્જા ઉત્પાદન અને ઉપયોગને વેગ આપવો જેવા નવતર આયામો વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અપનાવાઇ રહ્યા છે તેની પણ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવાની નેમ વ્યકત કરતા જણાવ્યું કે, આ જિલ્લાને લીલોચ્છમ હરિયાળો બનાવવામાં કશુ બાકી ન રહી જાય એ અમારી જવાબદારી છે. તેમણે કહ્યું કે આજે માતાજીના ચરણોમાં ગુજરાત અને દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી છે.આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે, આજે ક્લાઇમેન્ટ ચેન્જના લીધે ઋતુઓમાં પરિવર્તન થયું છે ત્યારે વૃક્ષોનું જતન કરી પર્યાવરણની જાળવણી કરીએ. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં આપણા ગુજરાતે ક્લાઇમેન્ટ ચેન્જનો વિભાગ શરૂ કરીને પર્યાવરણના પડકારો માટે મક્કમ કામગીરી કરી છે. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડિયા, ધારાસભ્ય સર્વશ્રી કેશાજી ચૌહાણ, અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, સંગઠનના પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલા, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવશ્રી સંજીવકુમાર, જી.પી.સી.બીના ચેરમેનશ્રી આર.બી.બારડ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ઘી ફોરેસ્ટ ફોર્સશ્રી એસ.કે.ચતુર્વેદી, અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી મહેશસિંઘ, વન સંરક્ષકશ્રી ડો. બી.સુચિન્દ્રા, જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નાયબ વનસંરક્ષકશ્રી અભયકુમારસિંઘ અને શ્રી પરેશ ચૌધરી, પદાધિકારીશ્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.