યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન
હિમાલય ભ્રમણ માટે ૧૭ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઇચ્છુક યુવક-યુવતીઓ તા. ૦૭ જૂન, ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા જુલાઈ ૨૦૨૪માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન કરાશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ૧૭ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓએ તા. ૦૭ જૂન, ૨૦૨૪ સુધીમાં અરજી કરવાની રહેશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રીની યાદીમાં જણાવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, હિમાલય ભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. સંસ્થાના ફેસબુક પેજ SVIM ADMINISTRATION (https://www.facebook.com/svimadmin) પરથી મેળવી શકાશે. અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત (ધોરણ-૧૨ પાસનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ) વગેરે દર્શાવવાનું રહેશે. તદ્ઉપરાંત અરજીની સાથે શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ પત્રક અને ખડક ચઢાણનો કોચિંગ કોર્ષ પૂર્ણ કર્યાંનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છે.
માઉન્ટ આબુ/ જુનાગઢ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨3-૨૪માં માનદ્ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેના પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે. સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા.૦૭/૦૬/૨૦૨૪ સુધીમાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ–૩૦૭૫૦૧ને મોકલી આપવાની રહેશે. ઉમેદવારને શારીરીક કસોટી માટે સંભવિત તા. ૧૫મી જૂન, ૨૦૨૪ના રોજ બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવા-આવવાના પ્રવાસ અને ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધનસામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને સંસ્થા દ્વારા અગાઉથી ટેલીફોનીક જાણ કરવામાં આવશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રીની યાદીમાં વધુમાં જણાવાયુ છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.