વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ સમાપન સમારોહ
"ભારત સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ ધરાવે છે" : PM
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ સરદાર પટેલ અને સુબ્રમણિયમ ભારતીના રાષ્ટ્રપ્રથમના સંકલ્પનો સંગમ છે.એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના સાથે યોજાયેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ તમિલ ભાષામાં સંબોધન કરીને તમિલ બંધઓનું અભિવાદન કર્યું હતું.જેના પગલે સંગમમાં પધારેલા તમિલ બંધુઓએ હર્ષ સાથે વડાપ્રધાનશ્રીને વધાવ્યા હતા.
સોમનાથ ખાતે આજે સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં ઉપસ્થિત હજારો સૌરાષ્ટ્રીયન તમિલો-તેમજ સૌરાષ્ટ્રના લોકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતાં વધુમા કહ્યું કે, મહેમાનનું સ્વાગત કરવું એ એક વિશેષ અનુભવ છે પરંતુ દાયકાઓ પછી વતનમાં પાછા ફરવાનો અનુભવ અને આનંદ અજોડ છે.તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના લોકોએ તમિલનાડુના મિત્રો માટે રેડ કાર્પેટ બિછાવી છે, જેઓ એ જ ઉત્સાહ સાથે રાજ્યની મુલાકાતે છે.
પ્રધાનમંત્રી કહ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે તેમણે 2010માં મદુરાઈમાં સૌરાષ્ટ્રના 50,000થી વધુ સહભાગીઓ સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કર્યું હતું.પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્રમાં આવેલા તમિલનાડુના મહેમાનોમાં સમાન સ્નેહ અને ઉત્સાહની નોંધ લીધી હતી.મહેમાનો પ્રવાસે છે અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ભૂતકાળની અમૂલ્ય સ્મૃતિઓ,વર્તમાન પ્રત્યેની લાગણી અને અનુભવો અને ભવિષ્ય માટેના સંકલ્પો અને પ્રેરણાઓ તમિલ સંગમમાં જોઈ શકાય છે.તેમણે આજના પ્રસંગ માટે સૌરાષ્ટ્ર અને
તમિલનાડુના દરેકને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે,ભારતની આઝાદીના અમૃતકાળમાં આપણે સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા મહત્વના સાંસ્કૃતિક કાર્યક્રમોના સાક્ષી છીએ.જે માત્ર તમિલનાડુ અને સૌરાષ્ટ્રનો સંગમ નથી પરંતુ દેવી મીનાક્ષીના રૂપમાં શક્તિની ઉપાસનાનો અને દેવી પાર્વતીનો તહેવાર પણ છે.ઉપરાંત,આ ભગવાન સોમનાથ અને ભગવાન રામનાથના રૂપમાં શિવના આત્માનો તહેવાર છે. એ જ રીતે,તે સુંદરેશ્વર અને નાગેશ્વરની ભૂમિનો સંગમ છે,આ શ્રી કૃષ્ણ અને શ્રી રંગનાથનો,નર્મદા અને વાગઈ,દાંડિયા અને કોલાયટ્ટમનો સંગમ છે અને દ્વારકા અને પુરી જેવી પવિત્ર પરંપરા-સાંસ્કૃતિક ધરોહરનો સંગમ
છે,એમ તેમણે જણાવ્યું હતું.વધુમાં તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રનિર્માણના માર્ગ પર આ વારસા સાથે આગળ વધવું પડશે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે ભારત એક એવો દેશ છે જે તેની વિવિધતાને વિશિષ્ટતા તરીકે જુએ છે,પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં ઉજવવામાં આવતી વિવિધ ભાષાઓ અને બોલીઓ,કલાના સ્વરૂપો અને શૈલીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત તેની માન્યતા અને આધ્યાત્મિકતામાં વિવિધતા ધરાવે છે અને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વિવિધતા આપણા સંબંધો અને સહકારને મજબૂત બનાવે છે.તેમણે જણાવ્યું હતું કર્યું કે, જ્યારે વિવિધ પ્રવાહો એક સાથે આવે છે ત્યારે એક સંગમ સર્જાય છે અને કહ્યું કે ભારત સદીઓથી કુંભ જેવી પરંપરામાં નદીઓના સંગમથી લઈને વિચારોના સંગમની કલ્પનાને
પોષતું આવ્યું છે.આ સંગમની શક્તિ છે જેને સૌરાષ્ટ્ર તમિલ સંગમ આજે નવા સ્વરૂપમાં આગળ લઈ જઈ રહ્યું છે.સરદાર પટેલ સાહેબના આશીર્વાદથી આવા મહાન ઉત્સવોના રૂપમાં દેશની એકતા આકાર લઈ રહી છે તેવું તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાની પરિપૂર્ણતા છે, જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન જોયું હતું. પ્રધાનમંત્રીએ વારસામાં ગૌરવના ‘પંચ પ્રાણ’ને યાદ કરીને કહ્યું હતું કે,“આપણા વારસાનું ગૌરવ ત્યારે વધશે જ્યારે આપણે તેને જાણીશું,ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને પોતાને જાણવાનો પ્રયત્ન કરીશું.”કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા સાંસ્કૃતિક પ્રસંગો આ દિશામાં અસરકારક ચળવળ બની રહ્યાં છે,એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના સદીઓ જુના સંબંધને ઉજાગર કરતા નોંધ્યું હતું કે “પૌરાણિક સમયથી આ બંને રાજ્યો વચ્ચે ઊંડો સંબંધ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને તમિલનાડુનું આ સાંસ્કૃતિક સંમિશ્રણ એ પ્રવાહ છે જે હજારો વર્ષોથી ગતિમાં છે.”
2047ના ધ્યેય,ગુલામીના પડકારો અને સાત દાયકાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ વિચલિત અને વિનાશક શક્તિઓ સામે ચેતવણી આપી હતી."ભારત પાસે સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ છે,સૌરાષ્ટ્ર અને તમિલનાડુનો સહિયારો ઇતિહાસ અમને આની ખાતરી આપે છે,એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ સોમનાથ પરના હુમલા અને પરિણામે તમિલનાડુમાં હિજરતને યાદ કરી અને કહ્યું કે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં જતા લોકો ક્યારેય નવી ભાષા,લોકો અને પર્યાવરણની ચિંતા કરતા નથી.તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો તેમની આસ્થા અને ઓળખને બચાવવા માટે તમિલનાડુમાં સ્થળાંતર કર્યું અને તમિલનાડુના લોકોએ ખુલ્લા હાથે તેમનું સ્વાગત કર્યું હતું, અને તેમને નવા જીવન માટે તમામ સુવિધાઓ આપી હતી.
એક ભારત, શ્રેષ્ઠ ભારતનું આનાથી મોટું અને ઉંચુ ઉદાહરણ શું હોઈ શકે?, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. મહાન સંત તિરુવલ્લવરને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું કે સુખ, સમૃદ્ધિ અને ભાગ્ય તે લોકો માટે આવે છે જેઓ પોતાના ઘરમાં અન્ય લોકોનું ઉમળકાભેર સ્વાગત કરે છે .“આપણે સંઘર્ષોને આગળ લઈ જવાની જરૂર નથી, આપણે સંગમ અને સમાગમોને આગળ લઈ જવાના છે. આપણે મતભેદો શોધવા માંગતા નથી, આપણે ભાવનાત્મક જોડાણ કરવા માગીએ છીએ”.
પ્રધાનમંત્રીએ તમિલનાડુના લોકોનો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમણે તમિલનાડુમાં સ્થાયી થવા માટે સૌરાષ્ટ્ર મૂળના લોકોને આવકાર્યા હતા. તેમણે કહ્યું કે ભારતની અમર પરંપરા જે દરેકને સર્વસમાવેશકતા સાથે લઈને આગળ વધે છે તે તમિલ સંસ્કૃતિને અપનાવનારાઓએ દર્શાવી છે પરંતુ સાથે સાથે સૌરાષ્ટ્રની ભાષા, ભોજન અને રીતરિવાજોને પણ યાદ કર્યા છે. પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો કે આપણા પૂર્વજોના યોગદાનને ફરજની ભાવના સાથે આગળ વધારવામાં આવી રહ્યા છે. સંબોધન સમાપ્ત કરતાં, પ્રધાનમંત્રીએ દરેકને વિનંતી કરી કે તેઓ સ્થાનિક સ્તરની જેમ દેશના વિવિધ
ભાગોમાંથી લોકોને આમંત્રિત કરે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ આ દિશામાં ઐતિહાસિક પહેલ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સમાન સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ. ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષની અપીલ.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.