મુંબઈના સાંતાક્રુઝ ખાતે આવેલું ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ (ટીવાયઆઈ) વિશ્વનું સૌથી જૂનું સંગઠિત યોગ કેન્દ્ર છે અને છેલ્લા 107 કરતા વધુ વર્ષોથી સર્વાંગી આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે અગ્રણી સંસ્થા તરીકે કાર્યરત છે. આ સંસ્થાએ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઈડીવાય)ની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ વર્ષની થીમ “યોગ ફોર હેલ્ધી એજિંગ” ને અનુરૂપ રહીને સંસ્થાએ સરકારી સંસ્થાઓ, સંરક્ષણ વિભાગોની સંસ્થાઓ, કોર્પોરેટ ઓફિસો, શૈક્ષણિક સંસ્થાઓ, એરપોર્ટ્સ અને વૈશ્વિક ડિજિટલ પ્લેટફોર્મ્સ મારફતે સેંકડો કાર્યક્રમોનું આયોજન કરીને લાખો લોકોને જોડ્યા હતા.
મુંબઈથી લઈને ચેન્નઈ અને જયપુરથી લઈને ભુવનેશ્વર સુધી યોજાયેલી આ ઉજવણીઓએ વિવિધ વયજૂથના અને વ્યવસાયો સાથે જોડાયેલા લોકોમાં સ્વસ્થ વયવૃદ્ધિનો સંદેશ ફેલાવ્યો હતો. સાથે જ પ્રિવેન્ટિવ હેલ્થકેર, મજબૂત મનોબળ અને જાગૃત જીવનશૈલીમાં યોગની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે ડૉ. હંસાજી યોગેન્દ્રે જણાવ્યું હતું કે, “ઉંમર વધવી એ સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ નબળા પડી જવું જરૂરી નથી. યોગની મદદથી આપણે શરીરને મજબૂત, મનને શાંત, ભાવનાઓને સંતુલિત અને હૃદયને આનંદિત રાખી શકીએ છીએ. ઉંમર વધવાની સાથે સ્વસ્થતાનો અર્થ માત્ર લાંબુ જીવવું એવો નથી, પરંતુ જીવનના દરેક વર્ષને વધુ સક્રિય, સ્વતંત્ર અને અર્થપૂર્ણ બનાવવાનો છે.”
ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકો સુધી પહોંચી ચૂક્યું છે. સંસ્થાએ 1 લાખથી વધુ સર્ટિફાઇડ યોગ શિક્ષકોને તાલીમ આપી છે અને યોગ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ આજે પણ વિશ્વભરમાં યોગનું સાચું જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહી છે, જેથી લોકો વધુ તંદુરસ્ત અને વધુ અર્થપૂર્ણ રીતે જીવન જીવી શકે.
ઉજવણીની મુખ્ય બાબતોઃ
• 3 દિવસીય ઓનલાઈન યોગ મહોત્સવ (19થી 21 જૂન): ત્રણ દિવસ ચાલેલા આ ઓનલાઈન યોગ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઇસ્કોનના સંત ગૌરાંગ દાસજી, ન્યુટ્રિશનિસ્ટ રાયન ફર્નાન્ડો, સર્વાંગી આરોગ્ય નિષ્ણાંત મિકી મહેતા અને ધ યોગ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું. ભાગ લેનારાઓને ધ્યાન, યોગ્ય આહાર, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સાઉન્ડ હીલિંગ જેવા વિષયો દ્વારા સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
• બાંદ્રા રીક્લેમેશન મેગા સેશન: ધ યોગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. હંસાજી યોગેન્દ્રના માર્ગદર્શન હેઠળ હજારો લોકો ભવ્ય સામૂહિક યોગ સત્રમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી શ્રી આશિષ શેલાર તેમજ વેલનેસ ક્ષેત્રના જાણીતા સમર્થક ટેરેન્સ લૂઇસ હાજર રહ્યા હતા.
• યોગ બાય ધ બે (મરીન ડ્રાઇવ): ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા, શૈના એનસી અને મિકી મહેતાના સહયોગથી મરીન ડ્રાઇવ ખાતે સૂર્યોદયના સમયે યોજાયેલા આ યોગ સત્રમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, શ્રી જિતિન પ્રસાદ અને શ્રી જયંત ચૌધરી સહિતના અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમે લોકોમાં જાહેર આરોગ્ય પ્રત્યે વધી રહેલી જાગૃતિ દર્શાવી હતી.
સરકારી, શૈક્ષણિક અને કોર્પોરેટ ક્ષેત્ર સુધી પહોંચ
ધ યોગ ઇન્સ્ટિટ્યૂટે વિવિધ ક્ષેત્રોમાં ખાસ કાર્યક્રમો યોજીને વધુ લોકોને યોગ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.
• જાહેર અને સંરક્ષણ ક્ષેત્રઃ મહારાષ્ટ્ર મંત્રાલય, સીસીઆરવાયએન, મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ટી1 અને ટી2), સીઆઈએસએફ, ભારતીય સેના અને ભારતીય વાયુસેના માટે ખાસ યોગ સત્રો યોજવામાં આવ્યા હતા. આ સત્રોનો હેતુ માનસિક એકાગ્રતા અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનો હતો.
• શૈક્ષણિક સંસ્થાઓઃ મીઠીબાઈ કોલેજ, એનએમઆઈએમએસ, ચેતના અને ઠાકુર કોલેજ સહિતની બીએમસીની શાળાઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે આત્મવિકાસના હેતુસર યોગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
• કોર્પોરેટ વેલનેસ કાર્યક્રમોઃ ઓએનજીસી, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, મઝગાંવ ડોક અને ટાટા કેર જેવી સંસ્થાઓ માટે વિશેષ પહેલ આદરવામાં આવી હતી. ઉપરાંત મેકલિયોડ્સ ફાર્માસ્યુટિકલ્સ સાથે મોટાપાયે ભાગીદારી દ્વારા દેશના અનેક શહેરોમાં યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
• સમાજના વધુમાં વધુ લોકો સુધી યોગ પહોંચે તે માટે જનરલ પોસ્ટ ઓફિસ (જીપીઓ), માહિમ, મુંબઈ સેન્ટ્રલ અને વિલે પાર્લેની પોસ્ટ ઓફિસોમાં પણ યોગ સત્રો યોજાયા હતા. ઉપરાંત બોરીવલી, અંધેરી અને ચેમ્બુર વિસ્તારોમાં ચંદોક ગ્રુપના સહયોગથી પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પગલે યોગ અંગેની જાગૃતિ સમાજના બહોળા વર્ગ સુધી પહોંચી હતી.
છેલ્લા 107 વર્ષથી ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ સાચા યોગ શિક્ષણ અને સામૂહિક આરોગ્ય જાગૃતિના ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે. 10 કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક અસર સર્જનાર, 1,00,000થી વધુ સર્ટિફાઇડ યોગ શિક્ષકોને તાલીમ આપનાર, એક હજારથી વધુ પુસ્તકો પ્રકાશિત કરનાર અને વિશ્વભરમાં 1 કરોડથી વધુ લોકોના ડિજિટલ સમુદાયનું નિર્માણ કરનાર આ સંસ્થા યોગને દરેક વર્ગના લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી છે. યોગ ક્ષેત્રે તેના અસાધારણ યોગદાનને માન્યતા આપતાં ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ધ યોગ ઇન્સ્ટિટ્યૂટને યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટેનો પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.