અમદાવાદ : ZEE5ના ખૂબ પ્રશંસા પામેલા શો 'ધી બ્રોકન ન્યૂઝ'ની બીજી સિઝનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. સિરીઝના મુખ્ય કલાકારો સોનાલી બેન્દ્રે અને શ્રીયા પિલગાંવકરે તાજેતરમાં જ આગામી સિઝનના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી.ચાલુ મહિનાના પ્રારંભમાં રિલીઝ થયેલા સિરીઝના ટ્રેલરથી ત્રીજી મેના રોજ રિલીઝ થઈ રહેલી નવી સિઝનના ઘટનાક્રમો જોવા માટે વ્યૂઅર્સની ઉત્સુકતા ઓર વધી ગઈ છે. બે વર્ષના અંતર પછી આવી રહેલી નવી સિઝનમાં બે બ્રોડકાસ્ટ ન્યૂઝ ચેનલ્સ ‘જોશ 24x7’ અને ‘આવાઝ ભારતી’ વચ્ચે સિદ્ધાંતો માટેની લડાઈ નવી ઊંચાઈએ પહોંચશે. આ થ્રિલિંગ નવી સિઝનમાં ‘સત્ય’ વિરૂદ્ધ ‘સનસનાટી’ની લડત ન્યૂઝરૂમથી આગળ વધીને અસ્તિત્વ ટકાવી રાખવા માટેના અંગત સંઘર્ષમાં પરિણમશે.
બીબીસી સ્ટુડિયોઝ પ્રોડક્શન્સ ઇન્ડિયા દ્વારા નિર્મિત આગામી સિઝનમાં પત્રકારોના જીવન, જૂઠ્ઠાણાં, પ્રેમ અને સંઘર્ષો તથા સત્ય અને ‘સનસનાટીપૂર્ણ’ વચ્ચેની તેમની લડાઈ દર્શાવવામાં આવશે. આગામી પ્રકરણમાં ફૈસલ રશિદ, ઇન્દ્રનીલ સેનગુપ્તા, સંજીતા ભટ્ટાચાર્ય અને તારુક રૈના સહિતના પ્રથમ સિઝનના કલાકારો રિપીટ થશે. વધુમાં, નવી સિઝનમાં અક્ષય ઓબેરોય, સુચિત્રા પિલ્લાઈ અને ગીતિકા વિદ્યા ઓહલ્યાન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ જણાવ્યું હતું, "ધી બ્રોકન ન્યૂઝ હંમેશા મારા માટે ખાસ રહેશે, કારણ કે, તેના દ્વારા મેં ઓટીટીમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ સિઝનને મળેલા પ્રતિસાદથી અમે અત્યંત ઉત્સાહિત થઈ ગયાં હતાં અને મને આનંદ છે કે અમે વધુ એક સિઝન સાથે પરત ફરી રહ્યાં છીએ. પ્રથમ સિઝનમાં અમીના અને રાધાની ટીમ હતી, પણ આ વખતે નવી સિઝનમાં અમીના ‘સત્ય’ માટેની લડત એકલપંડે લડશે. ZEE5, બીબીસી અને અમારા ડિરેક્ટર વિનય વૈકુલની ઉત્કૃષ્ટ ટીમ સાથે કામ કરવું હંમેશા આનંદની બાબત રહી છે. તેઓ એક વિઝનરી ડિરેક્ટર છે, જેમણે સમગ્ર સિરીઝ દરમિયાન દર્શકો તેની સાથે જકડાયેલા રહે અને છેલ્લે સુધી તેમની ઉત્સુકતા જળવાઈ રહે, એ સુનિશ્ચિત કરવા માટે તેમનો જીવ રેડી દીધો છે. અમારી નવી સિઝનના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લેતાં હું રોમાંચ અનુભવું છું અને હું ZEE5 પર ‘ધી બ્રોકન ન્યૂઝ સિઝન-2’ની રિલીઝની રાહ જોઈ રહી છું.”
ધી બ્રોકન ન્યૂઝ, સિઝન-2’ ત્રીજી મેથી શરૂ થઈ રહી છે, ZEE5 પર.


