મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો.
નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા ૨૦ જેટલા ખેલ મહાનુભાવોને એવોર્ડ આપીને આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસું છે. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગર્વની વાત છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખૂબ મહત્વનો છે. કેમ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે.
વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતાં અમદાવાદને આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્પોર્ટ્સ અને ફિટનેસ માટેના વડાપ્રધાનશ્રીના વિઝનનો લાભ ગુજરાતને અઢી દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે તેમના વિઝનનું જ પરિણામ છે.
ખેલે તે ખીલેના મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦માં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભ ૩.૦માં રેકોર્ડબ્રેક ૭૧ લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. તેમાં પણ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.


