ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અશ્વિનને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. અશ્વિનને ક્રિકેટમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. અશ્વિન ઉપરાંત, ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ ગોલકીપર પીઆર શ્રીજેશને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે 25 જાન્યુઆરીએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, દેશના નાગરિક પુરસ્કારો - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી માટે કુલ 139 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નામાંકિત કરવામાં આવ્યા હતા. આમાંથી 71 પુરસ્કારોને 28 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય દરબાર હોલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય લોકોની હાજરીમાં આ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. બાકીનાને પછીથી એક અલગ સમારોહમાં પુરસ્કારો આપવામાં આવશે.
BCCI એ અભિનંદન પાઠવ્યા
બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો જેમાં અશ્વિનને પદ્મશ્રી એવોર્ડ મળવા બદલ અભિનંદન આપવામાં આવ્યા. વીડિયોમાં, અશ્વિન રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ સ્વીકારતો જોઈ શકાય છે. બીસીસીઆઈએ પોસ્ટ પર લખ્યું - ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર એનાયત થવા બદલ આર અશ્વિનને અભિનંદન. આ તેમની નોંધપાત્ર સિદ્ધિઓ અને ટીમ ઈન્ડિયા સાથેની શાનદાર કારકિર્દીની માન્યતામાં છે.
નોંધનીય છે કે આર અશ્વિને ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ગાબા ટેસ્ટ સમાપ્ત થતાં જ અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 765 વિકેટ લીધી. તેમણે લગભગ ૧૪ વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં સેવા આપી. તેમણે પોતાની કારકિર્દીમાં ૫૩૭ ટેસ્ટ વિકેટ, ૧૫૬ વનડે વિકેટ અને ૭૨ ટી૨૦ વિકેટ લીધી હતી. તે 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનો ભાગ હતો. તેણે અનિલ કુંબલે પછી, તમામ ફોર્મેટમાં ભારતના બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત કર્યો.