PM મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા બાદ માનહાનિના કેસનો સામનો કરી રહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને AAP સાંસદ સંજય સિંહને આંચકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે બંને નેતાઓને કોઈપણ વચગાળાની રાહત આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. બંને નેતાઓએ હાઈકોર્ટને મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહેલી માનહાનિની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માગણી કરી હતી.
કોર્ટની કડક ટિપ્પણી
આ મામલે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ કહ્યું કે કેજરીવાલ અને સંજય સિંહ કોર્ટમાં હાજર થવાનું ટાળી રહ્યા છે. મેટ્રોપોલિટન કોર્ટે પીએમની ડિગ્રી પર વિવાદિત નિવેદનના મામલે બંને નેતાઓને 11 ઓગસ્ટે સમન્સ પાઠવ્યા હતા. આ સમન્સ સામે બંને નેતાઓએ સેશન્સ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. આ નિર્ણય સામે બંને નેતાઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે કડક સૂરમાં કહ્યું હતું કે બંને નેતાઓને જ્યારે કોર્ટમાં બોલાવવામાં આવ્યા ત્યારે હાજર રહેવું જોઈતું હતું. કોર્ટે કહ્યું કે હવે દિલ્હીમાં પૂરની સ્થિતિ નથી, તમે કોર્ટને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો.
આ છે સમગ્ર મામલો
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ દ્વારા પીએમ મોદીની ડિગ્રી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેના પગલે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલે બંને નેતાઓની ટિપ્પણીને લઈને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પટેલના મતે આ નિવેદનો "કટાક્ષપૂર્ણ" અને અપમાનજનક હતા. તેમણે કહ્યું હતું કે કેજરીવાલ અને સંજય સિંહની ટિપ્પણીથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે, જેણે વર્ષોથી લોકોની નજરમાં પ્રતિષ્ઠા મેળવી છે. પટેલના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ આ કામ જાણીજોઈને કર્યું છે.
કોર્ટે દંડ પણ ફટકાર્યો છે
પીએમ મોદીની ડિગ્રી સાર્વજનિક કરવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે CICના આદેશને રદ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર માહિતી માંગવા બદલ 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.