રાજપીપલા : નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર અભિગમ અંતર્ગત વિવિધ ગામોમાં તાલીમ અને મોડેલ ફાર્મની મુલાકાતના કાર્યક્રમો યોજાઈ
રહ્યા છે. આ કાર્યક્રમો દરમિયાન ખેડૂતમિત્રોને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો, જીવામૃત-ઘનજીવામૃતનો ઉપયોગ, બિયારણ ઉપચાર, જૈવિક જીવાત નિયંત્રણ તથા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
સાગબારા તાલુકાના મોટી પરોડી ગ્રામ પંચાયતામાં સમાવિષ્ટ પાના ગામે સખારામભાઈના ખેતરે તાલીમ યોજાઈ હતી. જેમાં કૃષિ સખી તરીકે વંદનાબેન પાડવી અને સી.આર.પી. તરીકે જગદીશભાઈ નાઈકે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની વિગતવાર સમજ આપી હતી.
નાંદોદ તાલુકાના ગુવાર ગામે પણ મોડેલ ફાર્મ ખાતે પ્રાયોગિક પ્રદર્શન દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતો સાથે ખુલ્લી ચર્ચા દરમિયાન તેમની શંકાઓનું
નિરાકરણ કરાયું હતું. જેમાં સી.આર.પી. તરીકે તડવી પિયુષભાઈ તથા અરવિંદભાઈ અને કૃષિ સખી તરીકે તડવી અરુણાબેને ખેડૂતોને માર્ગદર્શનપુરૂં પાડ્યું હતું.
આ તાલીમ દરમિયાન ખેડીતોને પ્રાકૃતિક કૃષિના મૂળ તત્ત્વો, રાસાયણિક ખાતર અને દવાઓના વિકલ્પો તથા સ્થાનિક સંસાધનોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. નર્મદા જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય સ્તરે કલસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિ અમલીકરણ માટે સતત તાલીમ, મોડેલ ફાર્મ મુલાકાત, માર્ગદર્શન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાનાં
ખેડૂતોને ખેતી ખર્ચમાં ઘટાડો, જમીનની ઉર્વરાશક્તિમાં વધારો અને પર્યાવરણમૈત્રી ખેતી તરફ પ્રોત્સાહિત કરવા આ પ્રકારની તાલીમો અસરકારક સાબિત થઈ રહી છે.


