મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગ ઘટનાઓ. 449 કેસમાં કાર્યવાહી, 408 ધરપકડ અને ₹48,700 દંડ વસૂલાત. RPFએ આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ સહિત મુખ્ય ટ્રેનોમાં વધુ ઘટનાઓ પર નિયંત્રણ મેળવ્યું – મુસાફરોને અનાવશ્યક પુલિંગ ન કરવાની અપીલ. વિગતો જુઓ.

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન કુલ 484 એલાર્મ ચેન પુલિંગ (ACP) ની ઘટનાઓ નોંધાઈ હતી. તેમાંથી 449 કેસોમાં નિયમિત રીતે કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે બાકીના કેસોમાં પ્રાથમિક તપાસ બાદ કાનૂની કારણોસર કેસ નોંધવામાં આવ્યા નહોતા.આ કેસોમાં કાર્યવાહી કરતાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા 408 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ₹48,700 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

અમદાવાદ મંડળનું રેલવે સુરક્ષા દળ (RPF) યાત્રીઓની સુરક્ષા, રેલવે સંપત્તિની રક્ષા તથા સ્ટેશનો પર સુરક્ષિત વાતાવરણ જાળવી રાખવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરી રહ્યું છે. વર્ષ 2026 દરમિયાન એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ પર કડક નજર રાખતાં RPFએ સતર્કતા, ત્વરિત કાર્યવાહી અને અસરકારક સમન્વય દ્વારા નોંધપાત્ર નિયંત્રણ સ્થાપિત કર્યું છે, જેથી ટ્રેનોની સમયપાલનતા અને અવરોધરહિત રેલ પરિચાલન સુનિશ્ચિત થઈ શકે.

સ્ટેશન સ્તરે અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, વિરમગામ અને ગાંધીધામ ખાતે એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હતી. જ્યારે સેક્શન સ્તરે ગેરતપુર–અમદાવાદ, અમદાવાદ–વિરમગામ, ઉંઝા–પાલનપુર, સામાખ્યાલી–ભુજ તેમજ અમદાવાદ–સાબરમતી ખંડોમાં વધુ ઘટનાઓ સામે આવી હતી, જ્યાં આરપીએફ દ્વારા વધારાની દેખરેખ તથા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યા હતા.

એલાર્મ ચેન પુલિંગના મુખ્ય કારણોમાં ખોટી ટ્રેન અથવા કોચમાં ચડી જવું, સામાન રહી જવું અથવા સહપ્રવાસી રહી જવા જેવી પરિસ્થિતિઓ મુખ્યરૂપે નોંધાઈ હતી. આ કારણોને ધ્યાનમાં રાખીને આરપીએફ દ્વારા મુસાફરોને જાગૃત કરવા માટે નિયમિત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે તેમજ રેલવે કર્મચારીઓ સાથે વધુ સારું સમન્વય સ્થાપિત કરવામાં આવ્યું છે.

તે ઉપરાંત આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, અલા હજરત એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ અને લોકશક્તિ એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનોમાં એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હતી, જેના પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

રેલવે પ્રશાસન તથા આરપીએફ મુસાફરોને અપીલ કરે છે કે એલાર્મ ચેનનો ઉપયોગ માત્ર આપાતકાલીન પરિસ્થિતિમાં જ કરે. અનાવશ્યક એલાર્મ ચેન પુલિંગ ન માત્ર ટ્રેન પરિચાલનમાં વિક્ષેપ ઉભો કરે છે, પરંતુ અન્ય મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પણ અસર કરે છે.

સંબંધિત સમાચાર