મુખ્ય સામગ્રી પર જાઓ

જિલ્લા કક્ષાના કાર્યક્રમને સમાંતર તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તથા શાળા - કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી

દેડીયાપાડાની ઇનરેકા સંસ્થા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કક્ષાના ૯મા વિશ્વ યોગ દિવસની 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ'ની થીમ સાથે કરાયેલી ઉજવણી

જિલ્લા કક્ષાના કાર્યક્રમને સમાંતર તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તથા શાળા - કોલેજોમાં પણ  વિશ્વ યોગ દિવસની ઉજવણી

નર્મદા જિલ્લા કક્ષાના ૯ મા “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી દેડીયાપાડા તાલુકાના ટીંબાપાડા સ્થિત ઇનરેકા સંસ્થા ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં કરાઈ હતી. 

જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ સાધકો, શાળાના બાળકો અને જિલ્લાના નાગરિકોને સંબોધતા મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ યોગને કાવ્યાત્મક શૈલી સાથે જોડીને જણાવ્યું કે, 'નમોને પસંદ એજ અમોને પસંદ, વાદ નહીં વિવાદ નહીં, યોગ દિવસ સિવાય કોઈ વાત નહીં...'

ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને વિશ્વ ફલક ઉપર લઈ જઈ દેશના દિર્ઘદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વના જન જનને આરોગ્યની ગુરૂચાવી આપી છે. તેના કારણે જ આજે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી રોગોને ભગાવી તંદુરસ્ત જીવન શૈલી અપનાવીએ તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં યોગનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય, જન સમુદાયમાં યોગ અંગે જાગૃત્તિ ફેલાય અને યોગ પ્રવૃતિ વધુ વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૨૧મી જૂન, ૨૦૧૯ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. યોગને પણ સ્પોર્ટ્સ તરીકેની માન્યતા આપવામાં આવી છે. જેના પરિણામે ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે ૭૮ હજાર જેટલા લોકોએ નોંધણી કરાવી ઉત્સાહ દાખવ્યો હતો.

આ વેળાએ સુરત ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ અમેરિકા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વીડિયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમથી વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે આપેલું પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું. ત્યારબાદ સૌ સહભાગીઓએ યોગાભ્‍યાસ કર્યો હતો.

નર્મદા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે બે આઈકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇનરેકા સંસ્થાન - દેડીયાપાડાની પસંદગી કરવામાં આવી હતી. તેને સમાંતર તાલુકા અને નગરપાલિકા કક્ષાએ અને શાળા - કોલેજમાં પણ યોગ દિવસની જિલ્લાભરમાં ઉજવણી કરવામાં આવી હતી.

દેડીયાપાડા ખાતે જિલ્લાકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારીખેડા સુગર ફેકટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી મોતીભાઈ વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જી.એ.સરવૈયા, દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી, દેડિયાપાડા મામલતદારશ્રી એસ.વી.વિરોલા, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી દિનેશ કદમ, ઇનરેકા સંસ્થાના સંચાલકશ્રી ડૉ.વિનોદ
કૌશિક, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

સંબંધિત સમાચાર