રાજપીપલા: વરસાદના કારણે નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએ માર્ગોને નાનું મોટું નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્વરિત અને અસરકારક માર્ગ મરામત કામગીરી કરવા માર્ગ મકાન વિભાગના ઇજનેરોને સ્થળ પર મુલાકાત લઇને ત્વરિત પગલા લેવા અને પેચવર્ક કરવા તાકિદ કરાઇ હતી.
નર્મદા જિલ્લાના કલેકટરશ્રી એસ.કે. મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના કાર્યપાલક ઈજનેરશ્રી સતીષ મોદી અને તેમની ટીમ જિલ્લાના મુખ્યમાર્ગો પર થયેલા નુકસાનનું નિરીક્ષણ કરીને ત્વરિત દુરસ્તીકરણની કામગીરી હાથ ધરી છે.
દેડિયાપાડા તાલુકામાં આવેલ દેડિયાપાડા-ચીકદા માર્ગ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે દેડિયાપાડાના મુખ્ય મથકને આ રોડ ચીકદા ગામ સાથે જોડે છે અને સતત ભારે વાહનવ્યવહાર જોવા મળે છે. હાલ મોસમને ધ્યાનમાં રાખીને, ચોમાસા દરમિયાન આ માર્ગની તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મરામત કામગીરી હેઠળ માર્ગ પર મેટલ પેચવર્ક અને સિમેન્ટ-કોક્રિંડના મિશ્રણથી પેચિંગ કરવામાં આવી રહી છે, જેથી પેચ મજબૂત અને ટકાઉ બને અને વાહનવ્યવહાર માટે માર્ગ ફરીથી સુરક્ષિત અને સુગમ્ય બની શકે. આ કામગીરી અમુક વિસ્તારોમાં ચાલુ છે અને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન છે.


