રાજપીપલા : હવામાન ખાતા દ્વારા ગત તારીખ ૪/૫/૨૦૨૫ થી ૮/૫/૨૦૨૫ દરમિયાન આપેલી આગાહી સંદર્ભમાં નર્મદા જિલ્લામાં ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારથી જ અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો હતો અને રોડ રસ્તા અને સોસાયટીમાં પાણી ભરાયા હતા. અને ગાજવીજ સાથે વરસેલા વરસાદે જનજીવનને અસર પહોંચાડી હતી. અત્યારે વરસાદે વિરામ લીધો છે અને આકાશમાં વાદળછાયું વાતાવરણ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને કેળ તથા બીજા પાકોને અસર થઈ છે અને વનરાજી પર લીલી કૂપળો ફૂટી નીકળી છે.
નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત થયેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેડિયાપાડામાં ૭ મીમી વરસાદ, તિલકવાડામાં ૬ મીમી વરસાદ અને નાંદોદમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે. સાગબારા અને ગરૂડેશ્વર તાલુકામાં વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ અને વત્તાઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. આમ, નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયાના અહેવાલ છે.


