મુખ્ય સામગ્રી પર જાઓ

વસ્તીગણતરી ૨૦૨૭: ક્રિકેટના દિગ્ગજ કરસન ઘાવરી બન્યા જનજાગૃતિ અભિયાનના એમ્બેસેડર

ભારતીય ક્રિકેટર કરસન ઘાવરી હવે વસ્તીગણતરી ૨૦૨૭ના જનજાગૃતિ અભિયાનનું નેતૃત્વ કરશે. ગાંધીનગરમાં વસ્તી ગણતરી નિયામક સાથે મુલાકાત બાદ મળી સત્તાવાર જવાબદારી. જુઓ કેવી રીતે આ ક્રિકેટર ગુજરાતમાં વસ્તીગણતરી માટે જનજાગૃતિ વધારશે.

વસ્તીગણતરી ૨૦૨૭: ક્રિકેટના દિગ્ગજ કરસન ઘાવરી બન્યા જનજાગૃતિ અભિયાનના એમ્બેસેડર

ગુજરાતના ગૌરવ અને રમતગમત જગતના પ્રતીક શ્રી કરસન ઘાવરીને વસ્તી ગણતરી કામગીરી નિયામકશ્રીની કચેરી (DCO), ગુજરાત દ્વારા આગામી વસ્તીગણતરી ૨૦૨૭ ના બંને તબક્કાઓ માટે જાહેર અપીલ અને જનજાગૃતિ અભિયાનનું નેતૃત્વ કરવા માટે સત્તાવાર રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે.

 

આ સંદર્ભે આજે ગાંધીનગર ખાતે વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રા સાથે પૂર્વ ક્રિકેટર શ્રી કરસન ઘાવરીએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

એક શિસ્તબદ્ધ રાષ્ટ્રીય ખેલાડી તરીકેની તેમની પ્રતિષ્ઠા, રાજકોટ સાથે જોડાયેલા તેમના સ્થાનિક મૂળ અને સમગ્ર ગુજરાતમાં તેમની વ્યાપક લોકપ્રિયતા આ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે, તેમજ વસ્તીગણતરીની કામગીરી દરમિયાન સમગ્ર રાજ્યમાં જનભાગીદારી વધારવા, નાગરિકોમાં વહીવટીતંત્ર પ્રત્યે વિશ્વાસ જગાડવા અને પરસ્પર સહકારની ભાવના દ્રઢ કરવામાં તેમનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી માધ્યમ બનશે તેમ, વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે.મયાત્રાએ જણાવ્યું હતું.

 

શ્રી કરસન દેવજીભાઈ ઘાવરીનો વિશેષ પરિચય

 

શ્રી કરસન દેવજીભાઈ ઘાવરી ભારતના એક પ્રતિષ્ઠિત પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જેમનો જન્મ ૨૮ ફેબ્રુઆરી, ૧૯૫૧ના રોજ રાજકોટ, ગુજરાતમાં થયો હતો. એક પ્રખ્યાત લેફ્ટ આર્મ-ફાસ્ટ બોલર અને લોઅર-ઓર્ડરમાં ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે, તેમણે ૧૯૭૪ થી ૧૯૮૧ દરમિયાન ૩૯ ટેસ્ટ મેચ અને ૧૯ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં ૧૯૭૫ અને ૧૯૭૯ ના સૌપ્રથમવાર ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

તેમણે ક્રિકેટ રમાવની શરૂઆત સૌપ્રથમ સૌરાષ્ટ્ર અને ત્યારબાદ મુંબઈની સ્થાનિક ટીમોથી કરી હતી. તેમણે સૌરાષ્ટ્ર તેમજ ત્રિપુરા જેવી ટીમોના કોચ બની તાલીમ પણ આપી છે. ગુજરાતના રમતગમત જગતમાં તે ખૂબ પ્રખ્યાત છે, જેના કારણે તેઓ રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરના સરકારી સામાજિક અભિયાનો માટે એક આદર્શ અને પ્રભાવશાળી પ્રચારક બની શકે તેમ છે.

 

મુખ્ય સિદ્ધિઓ અને કારકિર્દીના આંકડા

 

•  ટેસ્ટ ક્રિકેટ: તેમણે ૩૯ મેચોમાં ૯૧૩ રન બનાવ્યા અને ૧૦૯ વિકેટો ઝડપી. એક જ મેચમાં માત્ર ૩૩ રન આપીને ૫ વિકેટ લેવી એ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેમણે પોતાની કારકિર્દીમાં ૪ વખત એક જ ઇનિંગમાં ૫ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

•  વન-ડે ક્રિકેટ: ૧૯ મેચોમાં ૧૫ વિકેટો ઝડપી, જેમાં ૪૦ રન આપીને ૩ વિકેટ લેવી એ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

•  વિક્રમી ભાગીદારી : ઓસ્ટ્રેલિયા સામેની એક મેચ દરમિયાન તેમણે સૈયદ કિર્માણી સાથે આઠમી વિકેટ માટે ૧૨૭ રનની યાદગાર ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં તેમણે માત્ર ૯૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ૮૬ રન બનાવ્યા હતા.

•  ઐતિહાસિક બોલિંગ: ૧૯૮૧ ની શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન જોન ડાયસન અને કેપ્ટન ગ્રેગ ચેપલને લગાતાર બે બોલમાં આઉટ કરવા માટે તેઓ જાણીતા છે, તેમના આ પ્રદર્શને ભારતની એક ઐતિહાસિક જીતનો પાયો નાખ્યો હતો.

•  માર્ગદર્શન અને વારસો : ૧૯૭૮ માં જ્યારે મહાન ક્રિકેટર કપિલ દેવએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારે કરસન ઘાવરીએ તેમના સાથી ઓપનિંગ બોલર તરીકેની ભૂમિકા ભજવી હતી. ખેલાડી તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ સફળતાપૂર્વક કોચિંગ ક્ષેત્રે આગળ વધ્યા અને સૌરાષ્ટ્રની રણજી ટીમને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું.

Tags: Gujarat Census 2027 campaign DCO Gujarat Census activities Karsan Ghavri Census 2027 DCO ગુજરાત વસ્તીગણતરી પ્રવૃત્તિઓ Census 2027 India public awareness Karsan Ghavri profile cricket career Sujal J. Mayatra Census Director Gujarat Former Indian cricketer role in national mission કરસન ઘાવરી વસ્તીગણતરી ૨૦૨૭ કરસન ઘાવરી પરિચય ક્રિકેટ કારકિર્દી સુજલ જે. મયાત્રા વસ્તી ગણતરી નિયામક રાષ્ટ્રીય અભિયાનમાં ભૂતપૂર્વ ક્રિકેટરની ભૂમિકા વસ્તીગણતરી ૨૦૨૭ ભારત જનજાગૃતિ ગુજરાત વસ્તીગણતરી ૨૦૨૭ અભિયાન

સંબંધિત સમાચાર