આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય' થીમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે જીસીઈઆરટી પ્રેરિત ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ગીર સોમનાથના તમામ તાલુકાના દરેક ક્લસ્ટર દીઠ ત્રણ શિક્ષકો એમ જિલ્લાના કુલ ૧૭૧ શિક્ષકોએ આ યોગ શિક્ષણ કેમ્પમાં ભાગ લીધો હતો.
યોગ શિક્ષણનો જિલ્લા કક્ષાનો તાલીમ વર્ગ તારીખ ૧૯,૨૦ અને ૨૧ જૂનના રોજ સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે મહાબળ બાપાની જગ્યામાં યોજાયો હતો. આ તમામ યોગ અભ્યાસુ શિક્ષકોને તજજ્ઞશ્રી ધનસુખભાઈ મોરી, નયનભાઈ બારડ, રમેશગીરી મેઘનાથી, અશ્વિનભાઈ વાળા તેમજ નીતાક્ષીબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સમગ્ર યોગ શિક્ષણ તાલીમ વર્ગનું આયોજન તેમજ સંચાલન ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી વી એમ પંપાણીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.
ગીર સોમનાથમાં થશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૨૧ જૂન ૨૦૨૩ના રોજ બુધવારે સવારે ૬-૦૦ કલાકે સોમનાથ મંદિર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેનવાજાના અધ્યક્ષસ્થાને નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. આ યોગ દિવસની ઉજવણીમાં શહેરીજનો પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશે.
‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ તેમજ ‘વસુધૈવ કુટુમ્બકમ’ માટે યોગની થીમ હેઠળ યોજાનાર આ યોગ દિવસમાં અતિથી વિશેષ તરીકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, તાલાલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, કોડીનાર ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ઉના ધારાસભ્ય શ્રી કે.સી.રાઠોડ તેમજ વેરાવળ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા તેમજ જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયા સહિત અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ અને વિવિધ અગ્રણીઓ તેમજ શહેરીજનો પણ આ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનશે.