રાજપીપલા : જિલ્લા પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની એક્સિક્યુટીવ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.એસ.ચૌધરીએ જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અત્યાર સુધી થયેલ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
આ બેઠક દરમિયાન આયુર્વેદ શાખાની કામગીરીની પ્રાથમિક માહિતી આપી હતી. જેમાં આ શાખા અંતર્ગત આયુર્વેદ અને હોમયોપેથી દવાખાનાની કામગીરી, નેશનલ આયુષ મીશન અંતર્ગતની કામગીરી, ડીપીએમયુ અંતર્ગત પ્રોગ્રામ મેનેજરની જગ્યા ભરવા મંજુરી આપવા અંગે તેમજ વર્ષ ૨૦૨૬-૨૭ માટે તૈયાર કરવામાં આવેલ એન્યુઅલ એક્શન પ્લાન અંગે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. માયાબેન ચૌધરીએ વિગતવાર માહિતી આપી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ જિલ્લાના આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા તથા આયુષ પદ્ધતિઓના વ્યાપને વધારવા માટે આયોજનબદ્ધ રીતે વિવિધ પ્રવૃત્તિઓ અમલમાં મુકવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લામાં આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર (આયુષ) ખાતે ચાલી રહેલી વિવિધ સેવાઓ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સેવાઓની ગુણવત્તા, લાભાર્થીઓની સંખ્યા તથા સુવિધાઓના સશક્તિકરણ અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીઓ સહિત કમિટીની સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.


