દિલ્હી: શનિવારે મોડી સાંજે દિલ્હી એરપોર્ટ પર ઇતિહાદ એરવેઝના લગભગ 200 મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અબુ ધાબી જતી તેમની ફ્લાઇટ EY217 રદ કરવામાં આવી હતી. આ ઘટના બોઇંગ 787-9 એરક્રાફ્ટમાં તકનીકી ખામી સર્જાવાને કારણે બની હતી.
મળતી માહિતી અનુસાર, ફ્લાઇટ EY217 રાત્રે 9.15 વાગ્યે દિલ્હીથી અબુ ધાબી જવા રવાના થવાની હતી. મુસાફરોને શરૂઆતમાં કેટલાક કલાકો સુધી વિલંબ વિશે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ, તેમને ફ્લાઇટ રદ થવા અંગેની જાણ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા શોધવાની ફરજ પડી હતી.
લગભગ 200 જેટલા મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ક્રૂ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ છે. કેટલાક કલાકો પછી, એરલાઇને ફ્લાઇટ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી, જેનાથી મુસાફરોમાં ભારે નિરાશા અને અરાજકતા ફેલાઈ હતી.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com અનુસાર, આ ફ્લાઇટ બોઇંગ 787-9 એરક્રાફ્ટ દ્વારા સંચાલિત થવાની હતી. જોકે, તકનીકી ખામીના ચોક્કસ કારણો તાત્કાલિક જાણી શકાયા નથી. આ ઘટનાને કારણે મુસાફરોને રાતભર એરપોર્ટ પર રોકાવવાની ફરજ પડી હતી અને તેમના પ્રવાસની યોજનાઓમાં મોટો વિક્ષેપ પડ્યો હતો. ઇતિહાદ એરવેઝ દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા અને વળતર અંગેની માહિતી હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવી નથી.