બનાસકાંઠાના ડીસા શહેરમાં અર્બુદા વિદ્યાલયથી સરદાર બાગ સુધી ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ, જેમાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી આકર્ષક રીતે રજૂ થઈ. આ યાત્રા વિશ્વ સંસ્કૃત દિવસના ઉપલક્ષ્યમાં ૬ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ઉજવાયેલા સંસ્કૃત સંબંધિત કાર્યક્રમોનો એક ભાગ હતી.
આ પ્રસંગે, બનાસકાંઠા સંસ્કૃત શિક્ષણ પરિવાર દ્વારા આયોજિત આ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેશ પટેલે ચાર વેદોનું પૂજન કરી શંખનાદ સાથે યાત્રાનું ઉદ્ઘાટન કર્યું. યાત્રામાં વિદ્યાર્થીઓએ ટેબ્લો અને પ્રતિકૃતિઓ દ્વારા યજ્ઞસેવા અને વૈદિક સંસ્કૃતિનું નાટ્યાત્મક રીતે પ્રદર્શન કર્યું. રામ-લક્ષ્મણ-જાનકી, શ્રીકૃષ્ણ, અર્જૂન, નારદમુનિ જેવા પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને જીવંત રૂપે રજૂ કરી.
સરદાર બાગ ખાતે યાત્રાના સમાપન સમારોહમાં ડૉ. હિતેશ પટેલે સંસ્કૃત ભાષાનું આધુનિક શિક્ષણમાં મહત્વ અને તેના પ્રચાર-પ્રસારની જરૂરિયાત વિશે વિગતે ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ ભારતની આત્મા અને સંસ્કૃતિનું પ્રતીક છે.
વિદ્યાર્થીઓએ બેનરો દ્વારા ‘સંસ્કૃત ભાષા, સરળ ભાષા’, ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘રાષ્ટ્રની આત્મા, સંસ્કૃત ભાષા’, ‘બહુજન હિતાય બહુજન સુખાય’, ‘જીવનનું સૌંદર્ય સંસ્કૃત છે’ જેવા સૂત્રો દ્વારા સંસ્કૃતનું મહત્વ રજૂ કર્યું. આ ઉપરાંત, ‘પઠત્ સંસ્કૃતમ્, વદત્ સંસ્કૃતમ્’, ‘જયતુ સંસ્કૃતમ્’ જેવા શ્લોકો અને ગીતો દ્વારા સંસ્કૃત ભાષાનો ઉત્સાહભેર પ્રચાર કરવામાં આવ્યો.
આ યાત્રા દ્વારા ગુજરાતના યુવાનો અને સમાજમાં સંસ્કૃત ભાષા અને વૈદિક સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કરાયો. આવા આયોજનો ભવિષ્યમાં પણ યુવા પેઢીને પોતાની સાંસ્કૃતિક ધરોહરથી જોડી રાખશે.


