મુખ્ય સામગ્રી પર જાઓ

ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની આગાહીને અનુલક્ષી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ

જિલ્લા કલેકટર શ્રી એચ કે વઢવાણિયાના અધ્યક્ષસ્થાને વાવાઝોડા અને વરસાદની આગાહીને અનુલક્ષી યોજાઈ રીવ્યૂ બેઠક, આપત્તિ દરમિયાન જિલ્લામાં મુશ્કેલી સર્જાય તો જિલ્લા કંટ્રોલરૂમ (૦૨૮૭૬ ૨૮૫૦૬૩/૬૪) પર સંપર્ક કરવા વહીવટીતંત્રનો અનુરોધ

ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા અને  વરસાદની આગાહીને  અનુલક્ષી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ

ગીર સોમનાથમાં ૧૧ જૂન,૨૦૨૩ સુધી વાવાઝોડા તથા તે દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે જેને અનુલક્ષીને ગીર-સોમનાથ જિલ્લામાં પણ વાવાઝોડાથી વરસાદ પડવાની શક્યતા રહેલી હોવાથી કલેક્ટર કચેરી ઈણાજ ખાતે જિલ્લાના તમામ સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને સાથે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠક યોજાઈ હતી.

જેમા જિલ્લાના વિવિધ વિભાગોએ વાવાઝોડા અને તે દરમ્યાન વરસાદની આગાહી સંદર્ભ કરેલી તૈયારીઓની કલેકટરશ્રીએ વિગતો મેળવી હતી અને ઉમેર્યુ હતુ કે જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ કે નુકશાન થાય તો તાત્કાલીક જાણ કરવા તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ પર કર્મચારી  સુનિશ્ચિત કરવા તેમજ જિલ્લામાં દરીયા કિનારાથી નજીકના અને નિચાણવાણા તમામ તાલુકાઓના ગામોમાં સંભવીત આગાહી સંદર્ભ સ્થળાંતરિત કરવાની વ્યવસ્થા તેમજ કોઈ માલ મિલ્કત કે અન્ય નુકશાન થાય તો તાત્કાલીક સ્થળ તપાસ કરાવી સરકારશ્રીના નિયમોનુસાર કાર્યવાહી કરવી તેમજ અધિકારીશ્રીઓને પરવાનગી સિવાય હેડકવાર્ટર નહી છોડવા સૂચના આપવામાં આવી હતી.

 કલેકટરશ્રીએ જિલ્લાના સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવાની સાથે જ જિલ્લા વહીવટીતંત્ર વરસાદ વાવાઝોડાના આગોતરા આયોજન માટે એકબીજા ડીપાર્ટમેન્ટના સંકલનમાં રહીને જિલ્લા વહીવટીતંત્ર સજ્જ રહે તેમ જણાવ્યું હતું.

આ તકે અધિક કલેકટર શ્રી બી.વી.લિંબાસીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવીબેન બારૈયા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. અરુણ રોય, કાર્યપાલક ઈજનેર સ્ટેટ શ્રી સુનિલ મકવાણા, પુરવઠા અધિકારી શ્રી રાહુલ ગમારા, પ્રાંત અધિકારી શ્રી કે વી બાટી તેમજ શ્રી જે.એમ.રાવલ, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એચ.કેવાજા તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સહિત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગીર-સોમનાથ જિલ્લામાં સંભવિત વાવાઝોડા સમયે રાખવાની થતી તકેદારી

ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉદભવેલ હોય અને ગીર સોમનાથ જિલ્લામાં પણ સંભવિત વાવાઝોડા અને વરસાદ અંગેની આગાહીને અનુલક્ષીને વાવાઝોડા સમયે કઈ કઈ તકેદારી રાખવી અને સ્વબચાવ માટે કેવા પગલા લેવા જોઈએ તે અંગે ગીર સોમનાથ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે

આ સૂચનો અનુસાર વાવાઝોડાની આગાહી માટે રેડિયો, ટી.વી., સમાચારો, જાહેરાતોના સંપર્કમાં રહેવું તેમજ વહીવટી તંત્રની સૂચના અનુસાર માછીમારોએ દરિયામાં જવું નહી, સલામત સ્થળે બોટ લાંગરવી અને દરિયાકાંઠાના માછીમારો અને અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવુ તદુપરાંત ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી

 જો જોખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું અને જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો તેમજ પાલતુ પ્રાણીઓને સલામત સ્થળે લઈ જવા. આવા સમયે અફવા ફેલાવશો નહિ. શાંત રહો, ગભરાટ કરશો નહિ

વાવાઝોડા દરમિયાન પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ના રહેવું. અત્યંત અગત્યના કામ સિવાય ઘરની બહાર નીકળવું નહિ. વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા અને ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું

જ્યારે વાવાઝોડા બાદ સૂચનો મળ્યા પછી જ બહાર નીકળવું અને અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહી. વાવાઝોડા બાદ ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા તેમજ કાટમાળમાં ફસાયેલાઓને તાત્કાલિક બચાવ કરવો. ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહિ અને ક્લોરિનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તેમજ ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.

વાવાઝોડા અને તે દરમિયાન વરસાદની આગાહીને અનુલક્ષી ગીર સોમનાથ જિલ્લામાં કન્ટ્રોલ રૂમ કાર્યરત

આગામી ૧૧ જૂન સુધી શક્યત: વાવાઝોડાની આગાહી છે ત્યારે એ દરમિયાન સંભવિત વરસાદી-કુદરતી આપત્તિ સામે ગીર સોમનાથ કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર  દ્વારા જિલ્લા અને  દરેક તાલુકા મથકે રાઉન્ડ-ધ-કલોક ફલડ કન્ટ્રોલરૂમ કાર્યરત છે.

જેમા વાવાઝોડા દરમિયાન અતિશય પવન તેમજ ભારે વરસાદ કે કોઈ આપત્તિ નિવારવા જેવા પગલા લેવા વિશેષ પ્લાન બનાવાયો છે અને જિલ્લાના દરેક વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવેલ  છે અને કંટ્રોલ રૂમ નંબર જાહેર કરાયા છે.

જેમાં ગીર સોમનાથ જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર ફોન નં.૦૨૮૭૬-૨૮૫૦૬૪,૦૨૮૭૬-૨૮૫૦૬૩, મામલતદાર કચેરી વેરાવળ તાલુકા કક્ષાનાં કન્ટ્રોલરૂમ નંબર ૦૨૮૭૬-૨૪૪૨૯૯, મામલતદાર કચેરી તાલાળા ૦૨૮૭૭-૨૨૨૨૨૨, મામલતદાર કચેરી સુત્રાપાડા-૦૨૮૭૬-૨૬૩૩૭૧, મામલતદાર કચેરી કોડીનાર-૦૨૭૯૫-૨૨૧૨૪૪, મામલતદાર કચેરી ઉના-૦૨૮૭૫-૨૨૨૦૩૯, મામલતદાર કચેરી ગીરગઢડા-૦૨૮૭૫-૨૪૩૧૦૦ આપત્તિ નિવારણ માટે જિલ્લા અને તાલુકા સ્તરે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે અને  રાઉન્ડ ધ કલોક સ્ટાફની નિમણૂક કરાઈ છે આપત્તિ સમયે તાલુકા અને જિલ્લા સ્તરે કાર્યરત કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકાશે.

સંબંધિત સમાચાર