રાજપીપલા : ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગરુડેશ્વર ખાતે “સપ્તધારાની સર્જનાત્મક ધારા” અંતર્ગત ‘ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સર્જન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં સેમેસ્ટર ૦૧ અને ૦૩ના કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ત્રણ ગૃપ બનાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ચીજવસ્તુઓ જેવી કે માટી અને સમાચારપત્રોનો ઉપયોગ કરીને સુંદર ગણેશજીની મૂર્તિનું સર્જન કર્યું હતું. આ પ્રયોગ દ્વારા પર્યાવરણપ્રેમી તહેવાર ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સ્પર્ધાના કો-ઓર્ડિનેટર તરીકે કૉલેજના આચાર્યશ્રી ડૉ.પદ્માબેન તડવી અને કન્વીનર પ્રા. ડૉ.જલ્પાબહેન પટેલે જવાબદારી નિભાવી હતી. કૉલેજનો સમગ્ર સ્ટાફ પણ સ્પર્ધાની સફળતા માટે સહભાગી બન્યો હતો. તમામ સ્પર્ધકોના શ્રેષ્ઠ પ્રદર્શન વચ્ચે અંતે બે વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્યાશ્રી ડૉ. પદ્માબેન તડવીએ તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી પર્યાવરણને અનુકૂળ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો હતો.


