અમદાવાદ / ભરૂચ / નર્મદા / ગુજરાત : આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે અમે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ઝગડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં બોઇલર ફાટવાની દુર્ઘટના બની હતી, જેમાં કેટલાય કામદારોના સત્તાવાર રીતે મૃત્યુ થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ અકસ્માતને સાત-આઠ દિવસ વીતી જવા છતાં ભોગ બનનારા લોકોને હોસ્પિટલોમાં યોગ્ય સુવિધાઓ મળી નહોતી. ભાજપના કોઈ સાંસદ કે ધારાસભ્યએ હજુ સુધી આ પીડિત પરિવારોની મુલાકાત લીધી નહોતી. જ્યારે પરિવારોની રજૂઆત સાંભળીને માનવતાના ધોરણે અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા અને સર્જનભાઈ વસાવા સહિતના આગેવાનો કંપની વહીવટીતંત્ર સાથે વાતચીત કરવા ગયા, ત્યારે ભાજપ દ્વારા એક ષડયંત્ર ગોઠવવામાં આવ્યું હતું. ભાજપના રોશન વસાવા, ભરૂચ પોલીસ અને કંપનીના મેનેજરે ભેગા મળીને અમારા નેતાઓ પર ત્રણ-ત્રણ ખોટી એફ.આઈ.આર. (FIR) કરાવી દીધી, જેના કારણે અમારા આગેવાનો છેલ્લા ૧૦-૧૫ દિવસથી જેલમાં બંધ છે.
’આપ’ નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીની સરકારને એ વાત ખૂંચે છે કે આમ આદમી પાર્ટીના આગેવાનો શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને કામદારોના શોષણ વિરુદ્ધ મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે. અમારા લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈને સનદની જમીનના એક સામાન્ય પ્રશ્નમાં સાત વર્ષ જેટલી સજા ફટકારી દેવાઈ અને અન્ય આગેવાનોને સામાન્ય કેસોમાં પણ જામીન આપવામાં આવતા નથી. બીજી તરફ, જે રોશન વસાવાએ કંપનીના ગેટમાં ગેરકાયદેસર પ્રવેશીને ચૈતરભાઈ સાથે અભદ્ર વર્તન કર્યું, લાકડી ઉછાળી, તેની સામે પોલીસે હજુ સુધી કોઈ ગુનો નોંધ્યો નથી. તેમજ જે કંપનીમાં બોઇલર ફાટ્યો તેની સામે પણ આજ દિન સુધી કોઈ કડક પગલાં લેવાયા નથી. શું ભરૂચમાં લોકતંત્ર અને સંવિધાન જેવું કંઈ બચ્યું જ નથી? જે લોકો જનતાના પ્રશ્નો ઉઠાવે છે તેમને ખોટા કેસો કરીને જેલમાં ધકેલી દેવાય છે. જો આવનારા દિવસોમાં અમારા તમામ આગેવાનોને ન્યાય નહીં મળે, તો અમે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભાજપ સરકાર વિરુદ્ધ આનાથી પણ મોટા અને જલદ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત