નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘની અધ્યક્ષતામાં કેવડિયા કોલોની અને ગરુડેશ્વર વિયર પ્રોજેક્ટના કારણે અસરગ્રસ્ત થયેલા સ્થાનિક લોકોને વિવિધ લાભોની વહેંચણી કરવા માટે ગઠિત અમલીકરણ સમિતિની સમીક્ષા અર્થે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રભાવિત પરિવારોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રોજેક્ટ પ્રભાવિત પરિવારોને ન્યાયિક અને યોગ્ય વળતર સમયસર મળી રહે તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સંબંધિત અધિકારીઓને વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવીને અસરગ્રસ્તોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તમામ લાયક લાભાર્થીઓને સત્વરે નિયમોનુસાર જમીન અથવા નાણાકીય સહાયની ચૂકવણી સુનિશ્ચિત કરવામાં આવે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
આ અમલીકરણ સમિતિની બેઠકમાં ખાસ કરીને કેવડિયા, કોઠી, વાઘડિયા, ગોરા, લીંમડી અને પાટડી ગામના અસરગ્રસ્ત નાગરિકોના પુનઃ વસવાટ અને બાકી રહેતા વળતરના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ આ છ ગામોના અસરગ્રસ્તોને મળવાપાત્ર તમામ લાભો કોઈપણ પ્રકારના
વહીવટી વિલંબ વિના, પારદર્શક અને સમયબદ્ધ રીતે પૂરા પાડવા માટે સમગ્ર તંત્રને કટિબદ્ધ થવા જણાવ્યું હતું.
કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ સમીક્ષા બેઠકમાં નાંદોદના પ્રાયોજના વહીવટદારશ્રી અમોલ આવટે, પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કોર, પુનઃ વસવાટ એજન્સીના ડેપ્યુટી કમિશનર, સરદાર સરોવર નિગમ લી. ન પ્રતિનિધિઓ તેમજ સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.