કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર બંધારણના નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું છે. તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કરતા કહ્યું કે જો કોઈએ બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ કંઈ કહ્યું હોય તો વડાપ્રધાને તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, આ લોકો બંધારણમાં માનતા નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પીએમ મોદીનું મૌન એ સંકેત છે કે તેઓ અમિત શાહના નિવેદન સાથે સહમત છે. તેમણે કહ્યું કે, જો વડાપ્રધાન મોદીને બાબાસાહેબ આંબેડકર માટે આદર હોય તો તેમણે આજે જ અમિત શાહને કેબિનેટમાંથી બરતરફ કરી દેવા જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીએ અમિત શાહને કહેવું જોઈતું હતું કે તેમનું નિવેદન ખોટું છે, પરંતુ તેના બદલે પીએમ મોદી તેમના નિવેદનનો બચાવ કરી રહ્યા છે. ખડગેએ ભાજપ પર હંમેશા દલિતો અને તેમના નાયકોનું અપમાન કરવાનો અને બંધારણની અવગણના કરવાનો આરોપ લગાવ્યો.


