નર્મદા-ભરૂચના રાજકારણમાં ગરમાવો: મહેશ વસાવાની કોંગ્રેસમાં ઘરવાપસી, ચૈતર વસાવા સામે જંગ તેજ થશે?
ભરત શાહ, નર્મદા:ગુજરાતના આદિવાસી બેલ્ટમાં રાજકીય હલચલ તેજ બની છે. BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવાએ ભાજપનો સાથ છોડી વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થયેલા મહેશ વસાવાના આ નિર્ણયથી નર્મદા અને ભરૂચ જિલ્લાના રાજકીય સમીકરણો બદલાય તેવા સંકેતો મળી રહ્યા છે. જેડીયુ, બીટીપી, આમ આદમી પાર્ટી અને ભાજપ બાદ હવે મહેશ વસાવાએ કોંગ્રેસ પર પસંદગી ઉતારી છે.
મહેશ વસાવાની લડાઈ ચૈતર વસાવા સામે છે, ભાજપ સામે નહીં: મનસુખ વસાવા
મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશ પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સૂચક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, "મહેશભાઈએ એક રાષ્ટ્રીય પાર્ટીમાં જોડાવાનો સારો નિર્ણય લીધો છે, ત્યાં તેમનું ભવિષ્ય ઉજળું છે. તેમની ખરી નારાજગી ભાજપ સામે નહીં પણ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સામે છે. ચૈતર વસાવાએ બી.ટી.પી. ને ખતમ કરવામાં કોઈ કસર છોડી નથી, જેના કારણે વસાવા પરિવારમાં નારાજગી છે. નેશનલ પાર્ટીમાં ગયા હોવાથી તેઓ હવે વધુ શક્તિશાળી બનીને ઉભરશે."
ડેડીયાપાડા કે ઝઘડિયા? સાંસદની મહેશ વસાવાને 'સ્થાનિક' મુદ્દે સલાહ
મહેશ વસાવા આગામી સમયમાં કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે મોટો પ્રશ્ન છે. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ સલાહ આપતા કહ્યું કે, જો મહેશભાઈએ રાજકારણમાં લાંબુ ટકવું હોય તો તેમણે 'ઝઘડિયા' વિધાનસભા બેઠક પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડેડીયાપાડાના મતદારો હવે 'બહારના' નેતાને સ્વીકારવા તૈયાર નથી અને તેઓ સ્થાનિક નેતૃત્વને જ સમર્થન આપશે. આ નિવેદનથી હવે કોંગ્રેસમાં ટિકિટની આશા રાખીને બેઠેલા સ્થાનિક નેતાઓમાં પણ ગણગણાટ શરૂ થયો છે.
આપ (AAP) નું અસ્તિત્વ જોખમમાં? મનસુખ વસાવાનો દાવો
વિશ્લેષણ કરતા સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું કે, ગત ચૂંટણીમાં ચૈતર વસાવા બીટીપી અને કોંગ્રેસના મતોના આધારે જીત્યા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને કોઈ સમર્થન મળવાનું નથી. ભાજપ ભરૂચ અને નર્મદામાં અત્યંત મજબૂત છે અને આગામી પંચાયતની ચૂંટણીઓમાં પણ ભાજપ મોટી લીડથી જીતશે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વસાવા વિરુદ્ધ વસાવાના જંગમાં કોંગ્રેસને કેટલો ફાયદો?
નિષ્કર્ષમાં કહી શકાય કે મહેશ વસાવાના કોંગ્રેસમાં પ્રવેશથી આદિવાસી મતોનું વિભાજન નિશ્ચિત છે. એક તરફ ભાજપની મજબૂત કેડર છે, બીજી તરફ ચૈતર વસાવા (આપ) ની વધતી લોકપ્રિયતા છે અને હવે મહેશ વસાવા કોંગ્રેસના બેનર હેઠળ મેદાનમાં છે. આ 'ત્રિપાંખિયા' જંગમાં કોણ બાજી મારશે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલ તો નર્મદાનું રાજકારણ મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશથી હચમચી ઉઠ્યું છે.


