ભારત સરકારના આયુષ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના નિયામક, આયુષ કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારી વડોદરાના નિર્દેશનમાં અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વડોદરાના માર્ગદર્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે આ વર્ષની થીમ “YOGA FOR HUMANITY” ને ધ્યાને લઈ પ્રોટોકોલ અને સૂચનાઓને અનુસરી યોગ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે.
વડોદરા શહેર અને જિલ્લાની કુલ ૭૫ શાળાઓને પસંદ કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ૧૩ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં કાર્યરત ૨૫ યોગ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવશે.
દરેક યોગ ઇન્સ્ટ્રક્ટરને ૩ શાળાઓમાં યોગશિબિર અને સ્પર્ધાઓ કરવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બે શાળા તેમના વિસ્તારની અને એક નજીકના સરકારી દવાખાના વિસ્તારમાં આવેલ શાળા સહિત કુલ ૭૫ યોગશિબિર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૭ થી ૧૪ દરમ્યાન શહેર – ગ્રામ્ય કક્ષાની અને ૧૫ થી ૨૧ દરમ્યાન તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે.
આ સ્પર્ધાઓમા સૂક્ષ્મક્રિયા, સૂર્ય નમસ્કાર, આસનો (બેસીને, સૂઈને, ઉભા રહીને, પેટના આધારે), પ્રાણાયામ તથા વિશિષ્ટ આસનોનો સમાવેશ થયા છે. શહેર અને ગ્રામ્ય કક્ષાએ દરેક સ્પર્ધામાં પસંદ થયેલ બે શ્રેષ્ઠ વિદ્યાર્થીને તાલુકા કક્ષાની સ્પર્ધા માટે મોકલવામાં આવશે. આ રીતે કુલ ૧૫૦ થી વધુ સ્પર્ધકો તાલુકા કક્ષાએ જોડાશે. ત્યારબાદ દરેક તાલુકામાંથી શ્રેષ્ઠ ૪ પસંદ કરી તા.૨૧/૦૬/૨૦૨૩ના રોજ ૩૨ શ્રેષ્ઠ સ્પર્ધકોની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજવામાં આવશે અને અંતિમ શ્રેષ્ઠ ૩ વિજેતાઓને મેડલ, સર્ટિફિકેટ તથા તાલીમ આપનાર યોગ ઇન્સ્ટ્રક્ટરોને અને તમામ મેડિકલ ઓફિસરને પણ પ્રશસ્તિ પ્રમાણપત્રો આપવામાં આવશે.
આ સમગ્ર કામગીરીના સુચારુ આયોજન માટે ડૉ. સારિકા જૈન મે.ઓ. આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, વાડી વડોદરાની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓમાં તણાવમુક્તિ થાય, નીરોગી રહે, ઉત્સાહ અને સ્ફૂર્તિ વધે તેમજ અભ્યાસમાં સારૂ પરફોમન્સ આપી શકે તે હેતુથી આ યોગશિબિરો-સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા આયુર્વેદ અધિકારી ડો સુધીર જોશીએ જણાવ્યું છે.