મુખ્ય સામગ્રી પર જાઓ

સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

જૂનાગઢના માળિયા હાટીનામાં ૧૪ ઇંચ, ડાંગના વઘઈ અને સુબીરમાં તથા સુરતના અંબિકામાં ૧૩-૧૩ ઇંચ વરસાદ, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ ૧૩.૨૭ ટકા સરેરાશ વરસાદ.

સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન કુલ ૨૨૫ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સૌથી વધુ ૨૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, જૂનાગઢના જ માળિયા હાટીનામાં ૧૪ ઇંચ, ડાંગના વઘઈ અને સુબીરમાં તથા સુરતના અંબિકામાં ૧૩-૧૩ ઇંચ વરસાદ નોંધાયો છે.

 

આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તથા મેંદરડા તાલુકામાં ૧૨-૧૨ ઇંચ તેમજ તાપીના ડોલવણમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વધુ, રાજ્યના ૧૪ તાલુકાઓમાં ૫ થી ૧૦ ઇંચ, ૮૫ તાલુકાઓમાં ૧ થી ૫ ઇંચ તથા ૧૧૮ તાલુકાઓમાં ૧ ઇંચ કરતાં ઓછો વરસાદ વરસ્યો છે. 

 

રાજ્યમાં આજે તા. ૪ જુલાઇ, ૨૦૨૬ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં સરેરાશ ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે રાજ્યના કુલ સરેરાશ વરસાદના ૧૩.૨૭ ટકા જેટલો થાય છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મોસમના કુલ સરેરાશ વરસાદના ૧૭.૧૧ ટકા નોંધાયો છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં ૧૫.૩૮ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦.૮૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭.૭૯ ટકા તથા કચ્છ ઝોનમાં માત્ર ૦.૪૦ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

 

અત્યાર સુધીમાં નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના ૬૪.૧૧ ટકા જેટલો ભરાયો છે. જ્યારે, રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ ક્ષમતાના ૩૬.૦૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં ૧૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૦ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૫૮ ડેમ ૨૫ થી ૫૦ ટકા, ૧૧૮ ડેમ ૨૫ ટકાથી નીચે ભરાયેલા છે. જેમાં, ૦૨ ડેમ હાઇ એલર્ટ, ૦૧ ડેમ એલર્ટ અને ૦૭ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

 

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOCની યાદી મુજબ રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૧૦ NDRFની ટીમ અને ૨૫ SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ૩ NDRF અને ૮ SDRFની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે તા. ૦૧ જૂન, ૨૦૨૬ થી આજદિન સુધી નવસારી જિલ્લામાંથી કુલ ૫૦ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે પવન અને વરસાદને કારણે ૨,૧૭૪ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેમાંથી ૨,૦૮૭ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે અને ૮૭ ગામોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે.

 

હવામાન વિભાગની આગાહીને પગલે તા. ૦૪ થી ૦૭ જુલાઇ, ૨૦૨૬ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Tags: સુરત ડાંગ વરસાદ વઘઈ માંગરોળ સરેરાશ વરસાદ જૂનાગઢ કુલ વરસાદ સૌરાષ્ટ્ર

સંબંધિત સમાચાર