મુખ્ય સામગ્રી પર જાઓ

ફરિયાદોના ઉકેલ માટે ટેક્નોલોજીના ઉપયોગ સાથે નિરાકરણ લાવવાનો રાજ્ય સરકારનો અભિગમ: ભૂપેન્દ્રભાઈ પટેલ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો ‘રાજ્ય સ્વાગત કાર્યક્રમ

ફરિયાદોના ઉકેલ માટે ટેક્નોલોજીના ઉપયોગ સાથે નિરાકરણ લાવવાનો રાજ્ય સરકારનો અભિગમ: ભૂપેન્દ્રભાઈ પટેલ

સ્વાગત કાર્યક્રમનાં ૨૦ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમને બે દાયકા  પૂર્ણ થતાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યુ હતુ અને સ્વાગત કાર્યક્રમની યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરજદારશ્રીઓને રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં સાંભળ્યા હતા અને નાગરિકોની ફરિયાદો અને તેમના પ્રશ્નો સંદર્ભે નિરાકરણ આપ્યુ હતુ.

આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગત કાર્યક્રમ વિશે ક્હ્યું કે એક નાના બીજથી વટવૃક્ષ બનેલા આ કાર્યક્રમની સફળતા પાછળ ખરેખર ગુજરાતના જાગૃત નાગરિકોને ગણાવ્યા હતા. વડાપ્રધાન શ્રી વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, સ્વાગત કાર્યક્રમ થકી ગુજરાત સમગ્ર વિશ્વમાં સુશાસનનું રોલ મોડેલ સ્ટેટ બની ચૂક્યું છે. આજે સ્વાગત કાર્યક્રમ એ સાબિતી આપી રહ્યો છે કે, સામાન્ય માનવીનું પણ લોકતંત્રમાં સ્વાગત છે. ગુજરાતે સ્વાગત કાર્યક્રમ થકી દુનિયામાં સુશાસનને લઈ એક અલગ ઓળખ અને એક અલગ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આજે ગુજરાતે એ પણ સાબિત કર્યું છે કે, અમે ફયૂચરિસ્ટિક આઈડિયાઝ પર કામ જ નથી કરતાં પણ તેને હકીકતમાં સફળ પણ બનાવીએ છીએ. આજે સુશાસનના આ પબ્લિક ઓરિએન્ટેડ મોડેલ થકી જનતા જનાર્દનની સેવા થઈ રહી છે.તેમણે ઉમેરતાં કહ્યું કે, ગુજરાતમાં સ્વાગત કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારમાં પ્રગતિ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આમ, સમગ્ર દેશમાં આ પ્રકારના જનહિતલક્ષી પ્રશ્રોને વાચા આપવા માટે તથા સુશાસનને સાચી દિશામાં લાવવા માટેની  ટેકનોલોજી આધારિત એક નવિન પહેલ છે.

 આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વાગત કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતુ કે, સ્વાગત કાર્યક્રમ થકી છેવાડાના લોકોની ફરિયાદોનો નિકાલ તત્કાલ આવી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ટેક્નોલોજીના ઉપયોગ સાથે નિરાકરણ લાવવાનો રાજ્ય સરકારનો અભિગમ છે. રાજ્ય સરકાર વિકાસપથ પર વધુ આગળ જવા પ્રયત્નશીલ છે.તેમજ અરજદારશ્રીઓને રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં સાંભળ્યા હતા અને નાગરિકોની ફરિયાદો અને તેમના પ્રશ્નો સંદર્ભે નિરાકરણ આપ્યુ હતુ.

રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ઈણાજ ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા, અધિક કલેક્ટર શ્રી લીબાસીયા, નાયબ કલેકટર ભૂમિકાબેન વાટલીયા સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી રીતે જોડાયા હતા.

સંબંધિત સમાચાર