ફાર્મા સેક્ટરમાં દવાઓના ઉત્પાદનથી લઈને તેની નિકાસમાં દેશ-વિદેશમાં ગુજરાત અગ્રહરોળમાં સ્થાન પામેલ છે. ફાર્મા ક્ષેત્રે સંકળાયેલા અનેક રીસર્ચર્સ સમયાંતરે વિવિધ ડ્રગ્સ સંબધીત રીસર્ચ કરતાં હોય છે. પરીક્ષણ દરમિયાન જે-તે દવાનું સફળ અસરકારક હ્યુમન ટ્રાયલ કરવું જરૂરી હોય છે.
તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીની (જીએસપી) ઈન્સ્ટિટ્યૂશનલ ઈથિક્સ કમિટીને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ રીસર્ચ દ્વારા માન્યતા મળી છે. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો.ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , ગુજરાત એ ફાર્મા ક્ષેત્રનું હબ છે.
ઈથિક્સ કમિટીને માન્યતાથી વિવિધ પ્રકારના પ્રોજેક્ટ અને રીસર્ચ માટે વિદ્યાર્થીઓ અને રીસચર્સને બહોળા પ્રમાણમાં લાભ થશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીટીયુ જીસેપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે આ બદલ ઈથિક્સ કમિટીના મેમ્બર સેક્રેટરી શ્રી ભૂમિકા મહેરીયાને અભિનંદન પાઠવ્યા હતાં.
આ સંદર્ભે પ્રો. ડૉ. સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, ફાર્મસી, લાઈફ સાયન્સ , અને બાયોફાર્માસ્યૂટીકલ્સના ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ , ફેકલ્ટીઝ અને રીસચર્સે કરેલાં સંશોધનના સફળ પરીક્ષણ અર્થે હ્યુમન ટ્રાયલ માટેની મંજૂરી મેળવવા માટે જીટીયુ જીએસપીની વેબસાઈટ પર અરજી કરી શકાશે. ત્યારબાદ જીએસપીની ઈન્સ્ટિટ્યૂશનલ ઈથિક્સ કમિટી દ્વારા અરજીની સ્ક્રૂટીની કરવામાં આવશે. જે વ્યક્તિ પર પરીક્ષણ થવાનું છે. તેના સ્વાસ્થ સંબધીત સંપૂર્ણ તકેદારીને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત તેના મૂળભૂત માનવાધિકારોને પણ પ્રાધાન્ય અપાશે. ત્યારબાદ જ હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ , રીસર્ચર્સ , ફાર્મા કંપની વગેરે હ્યુમન ટ્રાયલ અર્થે દવાના પરીક્ષણ માટે અરજી કરી શકશે.