રાજપીપલા : વિશ્વ તમાકુ નિષેધ દિન-૨૦૨૬ ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં તમાકુના સેવનથી થતા આરોગ્યલક્ષી દૂષ્પરિણામો અંગે જનજાગૃતિ ફેલાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વેલનેસ સેન્ટર સહ અર્બન હેલ્થ પોલીક્લિનિક, જૂની સિવિલ હોસ્પિટલ, રાજપીપલાથી પ્રસ્થાન કરી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે પૂર્ણ થઈ હતી.
રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોસ્ટર-બેનરો સાથે “તમાકુ મુક્ત સ્કૂલ”, “તમાકુ મુક્ત ગામ” જેવા સૂત્રોચ્ચારો દ્વારા નાગરિકોમાં તમાકુનો સેવન ન કરવા અંગેનો સંદેશ ફેલાવ્યો હતો. રાજપીપલા વિસ્તારમાં પસાર થયેલી આ રેલી દ્વારા તમાકુના સેવનથી થતી હાનિકારક અસરો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાંદોદ તાલુકા હેલ્થ અધિકારી ડૉ. નટવરસિંહ બારજોડે જણાવ્યું હતું કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિનની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે તમાકુના સેવનથી કેન્સર, હૃદયરોગ, શ્વસન સંબંધિત ગંભીર બીમારીઓ સહિત અનેક આરોગ્ય સમસ્યાઓ સર્જાય છે. સમાજને તમાકુના વ્યસનથી મુક્ત રાખવા માટે સૌએ સંકલ્પબદ્ધ
બનવાની જરૂર છે. તેમણે નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવી તમાકુથી દૂર રહેવા અપીલ કરી હતી.
આ રેલીમાં નાંદોદ તાલુકા હેલ્થ અધિકારી ડૉ. નટવરસિંહ બારજોડ, અર્બન હેલ્થ સેન્ટર રાજપીપલાના મેડિકલ ઓફિસર ડૉ. પરિંદ વસાવા, જિલ્લા સુપરવાઈઝર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મેડિકલ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.