અમદાવાદ /સુરેન્દ્રનગર/ ગુજરાત : રાજ્યમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્નએ છે કે શું આ યોજનાઓનો લાભ જરૂરીયાતમંદ લોકો સુધી સમયસર પહોંચે છે ? રાજ્યમાં થોડા સમય પહેલા માવઠું પડ્યુ હતું તેમાં અનેક ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરોડાનાં પેકેઝનું વળતરની જાહેરાત કરવામાં આવી. પરંતુ સુરેન્દ્રનગરમાં આજે પણ અનેક ખેડૂતો વળતરથી વંચીત છે. આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવેએ આ વળતર જલ્દી ચૂકવવા માટે માંગ કરી હતી.
આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવેએ વિડીઓનાં માધ્યમથી જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં આજથી અઢી મહિના પહેલા માવઠું પડ્યું હતું. આ માવઠાને લીધે ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું. જેથી સરકારે દસ હજાર કરોડનું વળતર આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. પંજાબમાં માવઠું પડ્યું ત્યારે પંજાબ સરકારે એક હેક્ટર દીઠ 50 હજાર રૂપિયા ટૂંક સમયમાં જ આપ્યા હતા. જ્યારે આપણે ગુજરાત સરકારે ખેડૂતો પાસે ફોર્મ ભરાવ્યા પરંતુ આજ સુધી સુરેન્દ્રનગરમાં 20,000 ખેડૂતો એવા છે કે જેને સહાય મળી નથી. આટલું જ નહીં નવેમ્બર ડિસેમ્બરમાં ખેડૂતોને ખાતર ન મળ્યું, બિયારણની અછત રહી. માવઠામાં જે વળતર આપવું જોઈએ તે તાત્કાલિક આપવું જોઈએ. ચોમાસુ પાકમાં જે ખેડૂતોને નુકસાન થયું હોય તેને શિયાળુ પાક સારો મળે. આ બધી જ જગ્યાએ સરકાર નિષ્ફળ રહી છે. આજની તારીખમાં પણ બધા જ ફોર્મ ભર્યા હોવા છતાં સુરેન્દ્રનગરમાં 20,000 ખેડૂતો વળતરથી વંચિત છે. સરકાર કહે છે કે ટેકનિકલ ખામીઓ છે, જનધનમાં પૈસા જતા નથી, સરકારને ડેબિટ કરવાના હોય ત્યારે તેમાં કેમ ટેકનીકલ તકલીફ નથી પડતી ?ખેડૂતોની પાત્રતા હોવા છતાં પણ સહાય ચૂકવવાની હોય ત્યારે ખેતીવાડી ડિપાર્ટમેન્ટ આવા બહાના કાઢે છે. આ ખૂબ અયોગ્ય થઈ રહ્યું છે. આગામી ટૂંક સમયમાં જો વળતર નહીં ચૂકવવામાં આવે તો આમ આદમી પાર્ટી યોગ્ય પગલાં ભરશે અને જરૂર પડી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે.
આમ આદમી પાર્ટી ગુજરાત


