અમદાવાદ/ સુરત : આમ આદમી પાર્ટીના શિક્ષણપ્રેમી મહામંત્રી રાકેશભાઈ હિરપરાની સતત ત્રણ વર્ષથી ચાલી રહેલી અથાગ મહેનત અને સંઘર્ષના પરિણામે સુરત શહેરની સરકારી શાળાઓને શાળા સફાઈ માટે મળતી ગ્રાન્ટમાં ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુરત શહેરના બે લાખથી વધુ વિદ્યાર્થીઓ અને અનેક સફાઈ કર્મચારીઓને સીધો લાભ મળશે. અત્યાર સુધી સુરત શહેરની સરકારી શાળાઓને શાળા સફાઈ માટે દર મહિને માત્ર 1,000 થી 5,000 રૂપિયાની નજીવી ગ્રાન્ટ મળતી હતી. રાકેશ હિરપરા દ્વારા આ ગ્રાન્ટ વધારવાની સતત માંગણી, રજૂઆતો અને સંઘર્ષના પરિણામે હવે આ ગ્રાન્ટમાં 3 થી 5 ગણો વધારો કરવામાં આવ્યો છે. હવે સુરત શહેરની સરકારી શાળાઓને વિદ્યાર્થી સંખ્યાના આધારે દર મહિને 5,000 થી 15,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ મળશે.
શિક્ષણ સમિતિના 100 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત શાળા સફાઈ માટે આટલી મોટી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે આજે પણ ગુજરાતની અન્ય સરકારી શાળાઓને માત્ર 1,000 થી 5,000 રૂપિયાની જ ગ્રાન્ટ મળે છે, જ્યારે માત્ર સુરત શહેરની સરકારી શાળાઓ માટે જ આ વધારો કરવામાં આવ્યો છે. આ ગ્રાન્ટ વધારાના કારણે શાળાઓમાં સફાઈ વ્યવસ્થા વધુ સઘન બનશે, વિદ્યાર્થીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણમાં અભ્યાસ કરવાની સુવિધા મળશે તથા સફાઈ કર્મચારીઓને મળતાં વળતરમાં પણ નોંધપાત્ર વધારો થશે.
આ અંગે આમ આદમી પાર્ટીના મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, સુરત શહેરના બે લાખ વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા, તમામ શિક્ષકો અને સફાઈ કર્મચારીઓને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વર્ષોથી શાળા સફાઈ માટે મળતી અત્યંત ઓછી ગ્રાન્ટ વધારવા માટે અમે સતત લડત અને સંઘર્ષ કર્યો. આજે આ સંઘર્ષમાં વિજય મળ્યો છે. હવે સુરત શહેરની તમામ સરકારી શાળાઓને દર મહિને 5,000 થી 15,000 રૂપિયાની ગ્રાન્ટ મળશે, જેના કારણે બાળકોનું આરોગ્ય સારું રહેશે, શાળાઓ સ્વચ્છ રહેશે અને સફાઈ કર્મચારીઓને યોગ્ય વળતર મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ એકસાથે વિવિધ રીતે સંઘર્ષ કર્યો હતો. શિક્ષણ મંત્રીના કાર્યાલય સામે પ્રતિકાત્મક વિરોધ, શાળાઓમાં જાતે સફાઈ કરીને રચનાત્મક વિરોધ જેવા પગલાં લેવામાં આવ્યા હતા. આ તમામ પ્રયત્નોના પરિણામે સુરત શહેરમાં જે શક્ય બન્યું છે, તે સમગ્ર ગુજરાતમાં અન્યત્ર શક્ય બન્યું નથી. આ જીત સુરતના જાગૃત મતદાતાઓની જીત છે, જેમણે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો હતો. આમ આદમી પાર્ટી આવનારા સમયમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શિક્ષણ સુધારણા માટે સતત લડત ચાલુ રાખશે.
આમ આદમી પાર્ટી ગુજરાત


