અમદાવાદ / સુરત / નર્મદા / ગુજરાત : આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે ઊભરી છે. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી. 34 જિલ્લા પંચાયતોમાંથી એક જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ જીતી છે. ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતના લોકો ઈચ્છે છે કે ગુજરાતમાં એક નવો પક્ષ, એક નવી પાર્ટી અને એક નવો વિકલ્પ આવે, અને તેનું પ્રમાણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યું છે. આ ખુશીના પ્રસંગે આમ આદમી પાર્ટી ગુજરાતનો બીજા નંબરનો પક્ષ બન્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી 24, 25 અને 26 તારીખે ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત ગુજરાત આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 24મી તારીખે પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે, જેમાં રાજકીય પરિસ્થિતિ અને ગુજરાતના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે.
AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે 25મી તારીખે નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી દ્વારા રચાઈ હોવાના ઉપલક્ષ્યમાં નર્મદાના રાજપીપળામાં ભવ્ય રોડ શો યોજી જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવશે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેશે. 26મી તારીખે આમ આદમી પાર્ટીની તમામ લીડરશિપ સાથે ફરીથી બેઠક અને ચર્ચા-વિચારણા કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ ડીઝલ-પેટ્રોલની અછત, મોંઘવારી, ધંધાઓમાં મંદી અને વીજળીના અભાવે લાંબા પાવર કટ જેવી સમસ્યાઓને કારણે લોકો પરેશાન છે. છેલ્લા 30 વર્ષથી ભાજપને મત આપ્યા છતાં આજે ગુજરાતની સ્થિતિથી લોકો થાકી ગયા છે. આવા સમયમાં આમ આદમી પાર્ટી એક વિકલ્પ અને આશાનું કિરણ બનીને ઊભરી છે. તેમણે નર્મદા જિલ્લાના તમામ લોકોને અપીલ કરી હતી કે તેઓ મોટી સંખ્યામાં જોડાઈ આમ આદમી પાર્ટીના રોડ શોને ભવ્ય બનાવે અને પાર્ટીને આશીર્વાદ આપે.