અમદાવાદ/સુરત/ગુજરાત : ગઇકાલે જામનગરમાં સભા દરમ્યાન આમ આદમી પાર્ટીનાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતુ ફેંકીને હુમલો કર્યો હતો. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવી, પોતાનો રોષ વ્યકત કરવો એ સૌનો અધિકાર છે. પરંતુ જો આ રોષ ખરેખર રોષ હોય તો તે સામાન્ય ગણી શકાય. પરંતુ ગઇકાલે જે ઘટના ઘટી તે ગુજરાતનાં લોકો માટે, ગુજરાતની રાજનીતિ માટે સીમાચિન્હરૂપ છે.
જામનગરમાં કોંગ્રેસનાં ત્રણ કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા.આ જોઇનીંગ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ જોડાયા. લગભગ કોંગ્રેસ માટે જામનગરમાં હવે કોઇ ગ્રાઉન્ડ બચ્યું નથી. અમને મળતી માહિતી મુજબ આ હુમલાનું પહેલેથી જ ષડ઼યંત્ર રચવામાં આવ્યું હતું. ખાસ કરીને હર્ષભાઇની ગુજરાત સરકારની પોલીસની સાથે મળીને આ આગોતરૂં આયોજન હતું. પોલીસને ખબર હતી આવું કંઇક બનવાનું છે. હુમલો કરનાર વ્યક્તિ સ્ટેજની નજીક જ હતો, પોલીસની નજર પણ હતી. ઇશારા થયા અને હુમલો થયો. એક નોંધપાત્ર વાત એ છે કે હુમલો થયા બાદ એક પણ પોલીસ હુમલાનો ભોગ બનનાર AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પાસે જોવા મળી ન હતી. એક પણ પોલીસે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સંભાળ લીધી નથી. વિસાવદરમાં પણ ચૂંટણી દરમ્યાન બન્ને પાર્ટીઓએ AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે કોઇ કસર છોડી ન હતી. કોઇ પણ ભોગે ગોપાલ ઇટાલિયા હારે તે દિશામાં બન્ને પાર્ટી કામ કરતી હતી. હવે જામનગરમાં કોંગ્રેસનું કદ ઘટી રહ્યું છે, જેથી બન્ને પાર્ટીએ મળીને આમ આદમી પાર્ટીનો અવાજ દબાવવાનું કામ કર્યું છે તે ગઇ કાલની ઘટનામાં સ્પષ્ટ દેખાય છે.
AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનાં નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરો દ્વારા હુમલો, મેતેપૂરા વિધાનસભાનાં મહિલા આગેવાન જીગીષાબેન પારગી પર પથ્થરથી હુમલો, ભરૂચનાં વાગરામાં આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તા ધર્મેશ વસાવા પર હુમલો, ગોંડલ માર્કેટ યાર્ડમાં એક કાર્યકર્તાને માર મારવામાં આવ્યો, આમ સતત આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહી છે તેને રોકવા માટે આ હુમલાઓ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી આ ઘટનાને ગંભીરતાથી લઇને ગુજરાતમાં રાજનૈતિક ભેદભાવ ઉભા ન થાય તે માટે સંઘર્ષ કરશે. અમે કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટીનો કોઇ પણ કાર્યકર જેલ કે લાઠીથી ડરતો નથી. જેટલા હુમલાઓ કરશો તેને આભૂષણની રીતે અમે સ્વિકારીશું.
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના ગુજરાત પ્રવાસ મુદ્દે જાણકારી આપતા AAP નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે આવતીકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવશે. આવતીકાલે સાંજે આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. બે દિવસ દરમ્યાન રાજકોટમાં જ રોકાણ કરશે. આ દરમ્યાન આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેસીને રણનિતી તૈયાર કરીશું. ખેડૂતની આત્મહત્યા મુદ્દો, દારૂબંધી સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ખેડૂતે આત્મહત્યા કરી છે તેના પરિવાર સાથે મુલાકાત કરશે તેમજ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે. હડદડમાં જે ઘટના બની તે મામલે કેટલાક જેલમાંથી છૂટેલા સાથીઓ સાથે મુલાકાત કરી તેમના સન્માન કાર્યક્રમમાં પણ હાજરી આપશે.


