વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ પોતાની વક્તવ્યમાં જણાવ્યું કે મોરબીને મનપાનો દરજ્જો આપ્યા બાદ પણ ભાજપના કોઈ નેતાને આગામી દસ વર્ષ માટે મોરબીના વિકાસનું વિઝન શું છે તેની ખબર નથી. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ હિન્દુ-મુસ્લિમ અને લેઉવા-કડવા વચ્ચે સળગાવવા વાળી પાર્ટી છે. મોરબીની સીરામીક ઇન્ડસ્ટ્રી સ્વયંભૂ રીતે પ્રગતિશીલ બની શકે તેમ હતું, પરંતુ ભાજપ સરકારના ખોટા હસ્તક્ષેપના કારણે વેપારને નુકસાન થયું છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે મોરબી કે ગુજરાત માટે ભાજપ પાસે કોઈ સ્પષ્ટ આયોજન અથવા વિઝન નથી. આજે જનતાની વાત સાંભળે એવું કોઈ બચ્યું નથી. જો કોઈ વચ્ચે ઝઘડો થાય અથવા કોઈએ માર્યું હોય તો સમાધાન પણ થઈ શકે, પરંતુ આજની સ્થિતિ એવી છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી શકાતી નથી. “હું તમને જગાડવા માટે અહીં આવ્યો છું.” તેમણે ગુજરાત સરકારના બજેટ પર ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આખા ગુજરાત સરકારનું અંદાજિત વાર્ષિક બજેટ લગભગ 3 લાખ કરોડ રૂપિયા છે. સરકાર એક વર્ષમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે, પરંતુ તેમાં ખેતી માટે માત્ર ચાર ટકા જેટલું બજેટ ફાળવવામાં આવે છે. ઉદ્યોગ માટે લગભગ છ ટકા અને સ્વાસ્થ્ય માટે પાંચથી છ ટકા જેટલું બજેટ ફાળવાય છે, જ્યારે સમગ્ર બજેટમાંથી સૌથી વધુ એટલે કે લગભગ 40 ટકા રકમ સરકારી પગારમાં ખર્ચાય છે. ઓછામાં ઓછા સવા લાખ કરોડ રૂપિયા જનતાના ટેક્સના પૈસામાંથી માત્ર પગારમાં જ વપરાઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન થાય છે કે પગાર લેનાર તંત્ર જનતા માટે કેટલું કામ કરે છે? જ્યારે હું પ્રથમ વખત ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ગયો અને બધું ધ્યાનથી જોયું, ત્યારે મને સમજાયું કે અહીં સરકાર જેવું કંઈ નથી, અહીં તો સર્કસ ચાલી રહ્યું છે. આપણે સરકારને મત આપીએ છીએ, ટેક્સ આપીએ છીએ, પરંતુ આપણું વિચારનાર કોઈ નથી. મોરબીના આગેવાનો, વડીલો અને વેપારીઓને અપીલ કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આપ સૌ અમને માર્ગદર્શન આપો અને સપોર્ટ આપો. ચૂંટણી દરમિયાન જ્યારે બટન દબાવો ત્યારે વિચારજો કે બરબાદીનું બટન દબાવવું છે કે આબાદીનું. આબાદીના બટન સામે જાડું નિશાન હશે અને બરબાદીના બટન સામે ફૂલનું નિશાન હશે.
મનોજ સોરઠીયાએ પોતાના ભાષણમાં કહ્યું કે આવનારી ચૂંટણીમાં મોરબીમાં “વિસાવદરવાળી” થશે. મોરબીના વેપારીઓ ટેક્સ ટેરર સામે સતત લડી રહ્યા છે અને ભાજપ સરકારે મોરબી સાથે હંમેશા અન્યાય કર્યો છે. મગફળી માફિયા, રાશન માફિયા અને કડદા પ્રથા સામે લડનાર આમ આદમી પાર્ટીનાં અનેક નેતાઓ આજે જેલમાં છે. તેમણે ઉમેર્યું કે લોકોથી માત્ર ખિસ્સા કાપવાનું કામ કર્યા સિવાય ભાજપ સરકારે કોઈ એવું વિકાસકાર્ય કર્યું હોત તો આજે મોરબી વધુ ચમકતું હોત. ગુજરાતની જનતાને માયકાંગલી ન સમજવી,આ વખતે ગુજરાતમાં વિકલ્પ ઊભો કરવાનું કામ જનતા કરશે. આ વખતે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા વિકલ્પ છે. ગુજરાતને જ્યારે જરૂર પડે ત્યારે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ કર્યું છે, આ વખતે પણ ગુજરાતને ગુલામીમાંથી મુક્ત કરવા માટે આપણે સૌએ ગુજરાતની ગલી ગલીમાંથી ગોપાલ ઇટાલીયા પેદા કરવાનું કામ કરવાનું છે. આમ આદમી પાર્ટી આપણા જેવા લોકોની પાર્ટી છે, અમને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી. આ વખતે મોરબી શહેરમાંથી આમ આદમી પાર્ટીનાં મેયર બનવા જોઈએ. AAPનાં મેયર હશે તો તાનાશાહી કરતા લોકોની શાન ઠેકાણે આવશે. તમારા આશીર્વાદથી અમે ગુજરાતની સ્થિતિ બદલવા માટે તૈયાર છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત


