મુખ્ય સામગ્રી પર જાઓ

અંબાજી મંદિરમાં ધર્મ અને ટેકનોલોજીનો અનોખો સમન્વય: ડેટા સેન્ટરનો શુભારંભ

અંબાજી મંદિરમાં ડેટા સેન્ટરનો શુભારંભ, પ્રસાદ, દાન, ભાદરવી પૂનમ મેળાની સેવાઓ હવે ઝડપી અને પારદર્શક રીતે મળશે.

અંબાજી મંદિરમાં ધર્મ અને ટેકનોલોજીનો અનોખો સમન્વય: ડેટા સેન્ટરનો શુભારંભ

ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે ધર્મ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો. ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો શુભારંભ થયો. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી.

આ ડેટા સેન્ટર દ્વારા યાત્રાળુઓને મળતી સેવાઓ હવે વધુ પારદર્શક, ઝડપી અને સરળ બનશે. દર વર્ષે કરોડો માઈભક્તો અંબાજી મંદિરના દર્શન માટે આવે છે. આ ભક્તો માટે પ્રસાદ વિતરણ, ઓનલાઇન દાન, સુવર્ણ શિખર દાન, સાડી કેન્દ્ર, ધાર્મિક વેચાણ કેન્દ્ર, ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રી સંઘની નોંધણી, સેવા કેમ્પ અને વાહન પાસ જેવી સેવાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.

શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આધુનિક ડિજિટલ યુગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સના ભાગરૂપે આ ડેટા સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટ્રલાઈઝ સર્વરબેઝ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓને કોમ્પ્યુટરાઈઝ્ડ સેવાઓ મળશે, જેમાં રિપોર્ટિંગ, સુપરવિઝન, ઓડિટ અને ડેટા એનાલિસીસ જેવી પ્રક્રિયાઓ આધુનિક ટેકનોલોજીથી સંચાલિત થશે.

અંબાજી મંદિર દ્વારા વાર્ષિક ૧.૨૦ કરોડ મોહનથાળ પ્રસાદનું વેચાણ થાય છે, જ્યારે લગભગ ૫૦ કરોડ રૂપિયાનું દાન ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમથી પ્રાપ્ત થાય છે. આ ડેટા સેન્ટર આવી તમામ પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવશે, જેનાથી ભક્તોને સીધો લાભ થશે.

આ પ્રસંગે શ્રી મિહિર પટેલ અને અંબાજી મંદિરના વહીવટદાર શ્રી કૌશિક મોદીએ મંત્રીશ્રીને મંદિર ટ્રસ્ટની વિવિધ કામગીરી અંગે વિગતવાર માહિતી આપી. આ ડેટા સેન્ટર યાત્રાળુઓ માટે એક નવી સુવિધા તરીકે ઉભરી આવશે, જે ગુજરાતના યાત્રાધામોમાં ટેકનોલોજીના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ બનશે.

સંબંધિત સમાચાર