મુખ્ય સામગ્રી પર જાઓ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી

રાજ્ય સરકાર દ્વારા તા. ૭થી ૧૩ નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ ૧,૩૭૮ કિ.મી.ની ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન.

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.૭ થી ૧૩ નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રા કરશે જેમાં રૂટ નં-૧ ઉમરગામથી એકતાનગર સુધી ૬૬૫ કિમી અને રૂટ નં-૨ અંબાજીથી એકતાનગર સુધી ૭૧૩ કિમી એમ કુલ ૧,૩૭૮ કિ.મી.માં આદિજાતિ વિસ્તારને આવરી લઈ ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા. ૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ
રહી છે.

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડાના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા 'જનજાતીય ગૌરવ રથયાત્રા'નું રાજ્યના ૧૪ જિલ્લાઓના ૮૮ જેટલા ગામોમાં વિવિધ રૂટ વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક, સભાઓ, સંવાદ, વકતૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ  કરવામાં આવશે.

સંબંધિત સમાચાર