અમદાવાદ/ભરૂચ/નર્મદા/વડોદરા/ગુજરાત : ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે કામદારોના હક્ક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ગઈકાલથીથી ધરણા પર બેઠા હતા અને આજે આ મુદ્દે સુખદ નિરાકરણ આવ્યું છે. તો આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા 24 કલાકથી અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા હતા. અહીંયાના કામદારોની 13 જેટલા મુદ્દાઓ પર રજૂઆતો હતી અને આ 13 મુદ્દાઓ અમે કંપની સમક્ષ રજૂ કર્યા હતા. તો આજે કંપનીના એચ.આર. હેડ, કંપનીના CEO અને કેટલાક યુનિટ મેનેજર સહિત તમામ લોકોની સાથે અમારી ચર્ચા વિચારણા થઈ છે. તો તેમાં 13માંથી 11 માંગણીઓને તેઓએ સ્વીકારી છે અને આવતીકાલથી જ આ 11 માંગણીઓની અમલીકરણ કરવાની તેમણે ખાતરી આપી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, પગાર વધારાનો જે મુદ્દો હતો એમાં સિનિયોરીટી પ્રમાણે એટલે કે જેણે જેટલી સેવા આપી હશે એ લોકોને પહેલી એપ્રિલથી પગાર વધારો લાગુ કરવાની ખાતરી આપી છે. આ સિવાય વર્ષો જૂના જે કામદારો છે એ લોકોને તાત્કાલિક ધોરણે કંપની એમ્પ્લોય કરવા માટે આવનારી બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં દરખાસ્ત મુકવામાં આવશે અને અગાઉ 50 લોકોને લેવામાં આવ્યા હતા એ રીતે સિનિયોરીટી પ્રમાણે કંપની એમ્પ્લોય કરવાની તેઓએ ખાતરી આપી છે. કંપનીએ જણાવ્યું કે જે પણ લોકો પોતાના અધિકારો માટે સ્ટ્રાઈક કરી હતી એ લોકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવશે નહીં. ફરીથી કોઈએ આ ગેટ પર આ પ્રમાણે આવવું નહીં પડે, એની પણ એ લોકોએ ખાતરી આપી છે. તો આ મુદ્દાનો સુખદ નિરાકરણ આવ્યું છે, જેને અમે આવકારીએ છીએ. અમે તમામ વર્કરો, સમર્થનમાં આવેલા આગેવાનો, પોલીસ કર્મચારીઓ અને મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ અને તમામ લોકોને અભિનંદન આપીએ છીએ.


