અમદાવાદ : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એક ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યા અને ત્યારબાદ ઝડપથી કેસ ચલાવીને તેમને, તેમના પરિવારને અને આદિવાસી સમાજના આગેવાનોને સાત વર્ષની સજા કરવામાં આવી. ત્યારબાદ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારની મુલાકાત લીધી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને પરિવારને હિંમત આપી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવાને ભાજપે ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે. ચૈતરભાઈ અમારા પરિવારના સભ્ય છે માટે હું, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત સમગ્ર ટીમે આજે ચૈતરભાઈના પરિવારની મુલાકાત લીધી હતી. અમે ચૈતરભાઈના પત્ની વર્ષાબેનને મળ્યા છીએ. આદિવાસી સમાજ ભાજપને લઈને જે રીતે ગુસ્સામાં છે તે મુદ્દે અમે ચર્ચા કરી. ભાજપે ચૈતરભાઈના પરિવારને જેલમાં નખાવ્યો એટલા માટે હાલ વર્ષાબેન એકલા છે, પણ તે ખૂબ જ મજબૂત છે, તે પોતે એક મજબૂત લીડર પણ છે. બીજા જે આદિવાસી સમાજના લોકોને જેલમાં નખાવ્યા છે એમની જવાબદારી પણ એમના ઉપર છે, તો એ મુદ્દે પણ અમે ચર્ચા કરી છે. અમે એક પરિવાર તરીકે આ તમામ લોકોની સાથે છીએ.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, એક વાત હું સ્પષ્ટપણે કહેવા માંગીશ કે હાલ હું ઘણા લોકોને મળ્યો અને રસ્તામાં પણ આવતી વખતે આદિવાસી સમાજના લોકોને મળ્યો અને અમે જોયું કે ભાજપના વિરુદ્ધમાં જનતામાં ખૂબ જ રોષ છે. લોકોમાં રોષ છે કે ચૈતરભાઈનો કેસ આટલો જલ્દી કેમ ચલાવવામાં આવ્યો? આ કઈ રીતે થયું? મારવાના પુરાવા નથી. અહીંયા એવા કેટલાય ભાજપના નેતાઓએ વનકર્મીઓને જાહેરમાં માર માર્યો છે, પણ એમના પર કોઈ કેસ થયો નથી અને એમને સજા કરવામાં આવતી નથી. આદિવાસી સમાજના મનમાં સવાલ છે કે વારંવાર ચૈતરભાઈને જેલમાં નાખવામાં આવે છે, તો શું આદિવાસી સમાજનો હવે અવાજ દબાઈ જશે? શું ભાજપના લોકો અંગ્રેજોથી પણ બદત્તર છે? આજે આદિવાસી સમાજમાં ગુસ્સો પણ ખૂબ જ છે. જે આદિવાસી સમાજ અંગ્રેજો સામે ઝુક્યો નથી, તેની સામે હવે ભાજપ શું ચીજ છે? આદિવાસી સમાજના લોકોએ નક્કી કર્યું છે કે ડેડીયાપાડામાં એક લાખ લોકો એકઠા થશે અને ભાજપને લલકાર ફેંકશે કે હવે તમે ન માત્ર ચૈતરભાઈ પર, પરંતુ આદિવાસી સમાજના એક પણ યુવાન પર જો કેસ કર્યો છે તો ભાજપના નેતાઓને ઘૂસવા દેવામાં આવશે નહીં.
આમ આદમી પાર્ટી ગુજરાત