અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે મેં ખેડૂતોની મુલાકાત લીધી અને તેમની સમસ્યાઓ જાણી. ખેડૂતો પાસેથી જાણવા મળ્યું કે તેઓ છેલ્લા સાત દિવસથી મુહીમ ચલાવીને આંદોલન કરી રહ્યા છે, છતાં પણ આ સરકાર તેમનો અવાજ સાંભળતી નથી. જે રીતે ખેડૂતોની સહમતિ વગર અને એક પણ રૂપિયાનું વળતર આપ્યા વગર, તેમની કિંમતી જમીન નીચેથી ગેસ લાઇન પસાર કરવાનું કામ આ સરકાર કરી રહી છે, તેના વિરોધમાં આજે સમગ્ર ૧૦ ગામના ખેડૂતો એકઠા થયા છે. તેમણે આગળ મોટી જાહેરાત કરતા કહ્યું કે, આજથી હું જાહેર કરું છું કે આવતીકાલથી હું પોતે, એટલે કે બ્રિજરાજ સોલંકી, ખેડૂતોની સાથે આંદોલન પર બેસવા માટે આવી રહ્યો છું. તમારે કોઈનાથી પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. હું ધોળકા તાલુકાના અને આજુબાજુના તમામ ગામના લોકોને તથા ખેડૂતોને વિનંતી કરું છું કે, જે રીતે ખેડૂતોની સહમતિ વગર ગેરકાયદેસર રીતે થાંભલા ઊભા કરવાનું, ડ્રેનેજ લાઇન નાખવાનું કે ગેસ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે, તેની સામે આપણે આ સરકારના કાન સુધી અવાજ પહોંચાડવાનો છે.
AAP નેતા બ્રિજરાજ સોલંકીએ આક્રોશ સાથે જણાવ્યું કે, આપણે મક્કમતા અને મજબૂતાઈથી આ સરકારને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે અને સરકાર પાસેથી લેખિત બાંહેધરી લેવાની છે કે ધોળકા તાલુકાના સરગવાળા ગામ સહિતના આ ૧૦ ગામોની વચ્ચેથી જે ગેસ લાઇન પસાર થઈ રહી છે, તે આગળ વધવા દેવામાં આવશે નહીં. જ્યારે સરકાર લેખિતમાં બાંહેધરી આપશે, ત્યારે જ આ આંદોલન પૂરું થશે. અત્યાર સુધી જ્યાં ખેડૂતોએ સંઘર્ષ કર્યો છે, ત્યાં તમામ ગામના વડીલો અને યુવાનો મારી સાથે હાજર છે. તેમણે અંતમાં સ્પષ્ટ કર્યું કે, આવતીકાલ તારીખ ૦૪/૦૭/૨૦૨૬થી હું આંદોલન પર બેસવાનો છું. જ્યાં સુધી સરગવાળા અને અન્ય ૧૦ ગામના ખેડૂતોને ન્યાય નહીં મળે, ત્યાં સુધી હું ધોળકા તાલુકાના સરગવાળા ગામ ખાતે આ બિનરાજકીય આંદોલન ચાલુ રાખીશ. આ લડતમાં હજારોની સંખ્યામાં લોકો જોડાવાના છે અને જ્યાં સુધી સરકાર ઝુકશે નહીં, ત્યાં સુધી અમારો આ સંઘર્ષ ચાલુ રહેશે.
આમ આદમી પાર્ટી ગુજરાત