જૂનાગઢ : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભેંસાણ તાલુકામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને સ્થાનિક યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા માટે જીઆઈડીસી (GIDC) સ્થાપવાની માંગ સાથે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.
આ રજૂઆતના અનુસંધાને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે (GIDC) પ્રત્યુત્તર આપ્યો હતો. નિગમે પોતાના જવાબમાં જણાવ્યું છે કે જૂનાગઢ જિલ્લામાં હાલમાં જૂનાગઢ-1, બિલખા અને વિસાવદર ખાતે ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે, જ્યારે માંગરોળ તાલુકાના શિલ ગામ ખાતે અંદાજે 22 હેક્ટર જમીન પર નવી ઔદ્યોગિક વસાહત વિકસાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નિગમે વધુમાં જણાવ્યું છે કે કોઈપણ નવી જીઆઈડીસી સ્થાપવા માટે જમીનની ઉપલબ્ધતા, પરિવહન અને ટ્રાન્સપોર્ટની સુવિધા, હાઈવે અને રેલવે કનેક્ટિવિટી, પાણીની ઉપલબ્ધતા, ઔદ્યોગિક એકમોના નિકાલની વ્યવસ્થા સહિતના વિવિધ ટેકનિકલ અને વ્યવહારિક પરિબળોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ તમામ મુદ્દાઓની સમીક્ષા અને અભ્યાસ બાદ ભેંસાણ તાલુકામાં ઔદ્યોગિક વસાહત સ્થાપવી યોગ્ય જણાશે તો આગામી સમયમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગોપાલ ઇટાલિયાએ સરકાર તરફથી મળેલા આ પ્રતિભાવને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો.
આમ આદમી પાર્ટી ગુજરાત