અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, સુરતના સરથાણા વિસ્તારમાં એક નવયુવાને નશાની હાલતમાં ગાડી ચલાવી અને અકસ્માત સર્જ્યો. એટલે કે માણસના જીવની કિંમત ગુજરાતમાં એટલી ઓછી થઈ ગઈ છે કે માણસ ઘરેથી બહાર નીકળે અને ક્યારે ઘરે પહોંચે તેની કોઈ ખાતરી નથી. અમે વિરોધ પક્ષ તરીકે વારંવાર કહેતા હતા કે ગુજરાતમાં નશાનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને એ નશાના પ્રમાણના કારણે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરોના કોમર્શિયલ કોમ્પ્લેક્સના ટોઇલેટોમાંથી છેલ્લા દસ-પંદર વર્ષથી ડ્રગ્સના ઇન્જેક્શન મળી રહ્યા છે. આ દૂષણ પહેલાં નહોતું, પરંતુ આજે ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે. ગાંજો, ચરસ, ડ્રગ્સ અને અન્ય કેફી પદાર્થોના રવાડે યુવાનો ચડી રહ્યા છે. તેમાં સૌથી મોટો વાંક અને ગુનો હોય તો તે ગુજરાત સરકારની મિલીભગત, ગુજરાતની સંસ્થાઓ અને કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા છે. પોલીસ તંત્રની નિષ્ક્રિયતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગઈકાલે સુરતના સરથાણા વિસ્તારમાં એક નવયુવાને નશાની હાલતમાં પોતાની ગાડી ચલાવી, ગાડીમાં દારૂ પણ હતો અને અકસ્માત સર્જ્યો જેમાં પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને પંદર જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. આનું જવાબદાર કોણ? સુરત એટલે ગૃહમંત્રીનું હોમટાઉન, ગૃહમંત્રીનો મતવિસ્તાર, અને સુરત જેવા શહેરમાં અઠવાડિયે કે પંદર દિવસે આવી ઘટનાઓ બનતી રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે ત્યારે પોલીસને વિરોધ પક્ષોના કાર્યકરો કોણ છે, ઉમેદવારો કોણ છે, તેમના સંતાનો કઈ શાળામાં ભણે છે અને તેમની માહિતી એકત્ર કરવામાં બહુ રસ હોય છે. પોલીસ ભાજપના નિષ્ઠાવાન કાર્યકર તરીકે કામ કરતી હોય તેમ લાગે છે, પરંતુ એ જ પોલીસ અને સરકારને ગુજરાતમાં ક્યાં દારૂ વેચાય છે, ક્યાં ડ્રગ્સ વેચાય છે, ક્યાં અડ્ડાઓ ચાલે છે અને કોણ-કોણ તેમાં સંડોવાયેલા છે તે દેખાતું નથી. આજે ગુજરાતનો એવો એક પણ વિસ્તાર બાકી નહીં હોય જ્યાં દારૂ, ડ્રગ્સ, ગાંજો, ચરસ, અફીણ જેવા માદક પદાર્થો ન મળતા હોય. જેના કારણે લોકો નશામાં અકસ્માતો કરે છે, ઝઘડા કરે છે, હત્યા, બળાત્કાર અને અન્ય દુષ્કર્મ જેવી ઘટનાઓ બને છે. આના પાછળ જવાબદાર કોણ? ગુજરાતમાં દરરોજ અખબાર ખોલો તો આવી જ કોઈ મોટી ઘટના જોવા મળે છે, બાકી નાની-મોટી ઘટનાઓનો તો કોઈ પાર જ નથી.
’આપ’ પ્રવક્તા યોગેશ જાદવાણીએ વધુમાં જણાવ્યું હતુ કે ચૂંટણીઓ આવે એટલે એ જ પોલીસને ખબર હોય છે કે કોણ કઈ પાર્ટીનો કાર્યકર છે, કોણ કોંગ્રેસનો છે, કોણ ક્યાં જવાનો છે, તેનો દીકરો ક્યાં ભણે છે, તેનો ધંધો શું છે અને કઈ અરજી પેન્ડિંગ પડી છે. આ બધું ધ્યાન રાખવાને બદલે જો આવા માદક પદાર્થો અને કેફી દ્રવ્યો વેચાતા હોય તેના પર ધ્યાન આપવામાં આવે, તો ગુજરાતના લોકો વધુ સલામત રીતે જીવી શકે. બહાર નીકળનાર દરેક વ્યક્તિ કોઈનો દીકરો, દીકરી, માતા, પિતા અથવા પત્ની હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સુરક્ષિત રીતે ઘરે પહોંચે ત્યારે જ પરિવારને હાશકારો થાય છે કે જીવતા-જીવ ઘરે આવી ગયા. આજે આપણે એવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ જ્યાં રોડ પર બેફામ ગાડીઓ ચલાવવામાં આવે છે, દારૂ પીને ગાડીઓ ચલાવવામાં આવે છે અને નશાની હાલતમાં વાહન હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવે છે. ગુજરાતની પોલીસ અને સરકારને વિનંતી છે કે કાયદો અને વ્યવસ્થાની જે ખરાબ સ્થિતિ છે તેના પર ગંભીરતાથી ધ્યાન આપે. ગાંધીના ગુજરાતમાં, જ્યાં દારૂબંધી છે, ત્યાં આજે પણ બૂટલેગરો બેફામ બનીને દારૂ વેચી રહ્યા છે, ડ્રગ્સ વેચી રહ્યા છે અને નશો ફેલાવી રહ્યા છે. જેના કારણે ગુજરાતના લોકોનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરીને આ પ્રકારની ઘટનાઓને રોકવામાં આવે તેવી અમારી વારંવાર વિનંતી રહી છે. આજે ફરી એકવાર આશા સાથે વિનંતી કરીએ છીએ કે સરકાર આ મુદ્દે કોઈ નક્કર નિરાકરણ લાવે, આવી ઘટનાઓમાં ઘટાડો થાય અને આખરે આ પ્રકારની દુઃખદ ઘટનાઓ સંપૂર્ણપણે બંધ થાય.
આમ આદમી પાર્ટી ગુજરાત