રાજપીપળા : જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે, જ્યાં બધાં રસ્તા બંધ થઈ ગયા હોય તેવું લાગે છે. પરંતુ મક્કમ મનોબળ, સંતાનની અવિરત મહેનત અને સરકારની સમયસર મળતી સહાય મળીને અશક્ય લાગતું સ્વપ્ન પણ સાકાર કરી શકે છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં રહેતા એક મધ્યમવર્ગીય પરિવારની આ પ્રેરણાદાયી ગાથા તેનો જીવંત પુરાવો છે.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના વિદ્યાર્થીઓ માટેની વિદેશ અભ્યાસ લોન યોજના આ પરિવાર માટે આશાના કિરણ સમાન સાબિત થઈ છે. સરકાર તરફથી મળેલી રૂપિયા 15 લાખની શિક્ષણ લોનના આધારે રાજપીપળાના યુવાન શ્રી ઋતાંશુ રાકેશકુમાર પંચાલ આજે કેનેડામાં પોતાની પ્રતિભાના બળે સફળ કારકિર્દી બનાવી રહ્યા છે.
વર્ષ 2019માં એક માર્ગ અકસ્માતમાં પરિવારના મુખ્ય આધારસ્તંભ એવા પિતા રાકેશકુમારનું અકાળે અવસાન થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. માતા શ્રીમતી પ્રીતલબેન પંચાલ સામે એક તરફ જીવનસાથીને ગુમાવ્યાનું દુઃખ હતું તો બીજી તરફ બે પુત્રોના ભવિષ્યની જવાબદારી હતી. આવા કપરા સમયમાં પણ તેમણે હિંમત હારી નહીં. તેમના સ્વર્ગસ્થ પતિની એક જ ઈચ્છા હતી કે, મોટો પુત્ર શ્રી ઋતાંશુ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને જીવનમાં મોટી સિદ્ધિ હાંસલ કરે. માતાએ આ સપનાને પોતાની જવાબદારી બનાવી.
શ્રી ઋતાંશુ બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી રહ્યો હતો. વર્ષ 2018માં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષામાં સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને તેણે પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ત્યારબાદ તેણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ઈ.ની ડિગ્રી ચારેય વર્ષ ડિસ્ટિંક્શન સાથે પૂર્ણ કરી.
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે તેની પસંદગી થઈ, પરંતુ લાખો રૂપિયાનો ખર્ચ પરિવાર માટે મોટો પડકાર હતો. માતાએ અનેક ખાનગી બેંકોનો સંપર્ક કર્યો, પરંતુ પૂરતી આર્થિક સક્ષમતા અને ગેરંટીના અભાવે સંતોષકારક સહાય મળી શકી નહીં. આવી સ્થિતિમાં તેમને ગુજરાત સરકારની SEBC વિદ્યાર્થીઓ માટેની વિદેશ અભ્યાસ લોન યોજના વિશે માહિતી મળી.
તેમણે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, વિકસતી જાતિ, નર્મદાની કચેરીનો સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાત સરકાર દ્વારા માત્ર 4 ટકાના નજીવા વ્યાજ દરે રૂપિયા 15 લાખની શિક્ષણ લોન મંજૂર કરવામાં આવી. આ સહાય પરિવાર માટે નવા જીવનની શરૂઆત સમાન બની.
આર્થિક સહાય મળતાં શ્રી ઋતાંશુએ કેનેડાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ વિન્ડસરમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ અભ્યાસ શરૂ કર્યો. સતત મહેનત અને સમર્પણના બળે તેણે માસ્ટર્સની ડિગ્રી ઉત્કૃષ્ટ પરિણામ સાથે પૂર્ણ કરી. આજે તેઓ કેનેડામાં પોતાની લાયકાતને અનુરૂપ કોર્પોરેટ ક્ષેત્રમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે.
પોતાના અનુભવ વિશે શ્રી ઋતાંશુ પંચાલ કહે છે: "વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું મારું સ્વપ્ન હતું, પરંતુ આર્થિક પરિસ્થિતિ સૌથી મોટો પડકાર હતી. ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાથી મને ₹15 લાખની સહાય મળી અને મારા માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કરવો શક્ય બન્યો. હું ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો હૃદયપૂર્વક આભાર માનું છું."
માતા શ્રીમતી પ્રીતલબેન પંચાલ જણાવે છે કે: "પતિના અવસાન પછી જીવનમાં ઘણાં પડકારો આવ્યા હતા. પરંતુ સરકારની આ યોજના અમારા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ. જો આ લોન ન મળી હોત તો મારા પતિનું સ્વપ્ન સાકાર કરવું શક્ય બન્યું ન હોત."
શ્રી ઋતાંશુની સફળતા બાદ હવે પરિવારનો નાનો પુત્ર ઓમ પંચાલ પણ વડોદરાની GSFC યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે. માતાને વિશ્વાસ છે કે સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સંતાનોની મહેનતના બળે તે પણ પોતાના જીવનમાં નવી સફળતાઓ હાંસલ કરશે.
આજે પ્રીતલબેન પંચાલ અન્ય વાલીઓને પણ અપીલ કરે છે કે, આર્થિક મુશ્કેલીઓને કારણે સંતાનોના સપનાઓ અધૂરા ન છોડવા. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી) અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, વિકસતી જાતિ કચેરીનો સંપર્ક કરીને યોગ્ય માર્ગદર્શન મેળવવું જોઈએ.
આ ગાથા એ વિશ્વાસનું પ્રતીક છે કે, માતાની મક્કમતા, સંતાનની પ્રતિભા અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો સમન્વય થાય ત્યારે સંજોગો નહીં, પરંતુ સંકલ્પ ભવિષ્ય નક્કી કરે છે. ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના આજે અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર ખોલી રહી છે અને તેમના સપનાઓને વૈશ્વિક આકાશમાં નવી ઉડાન આપી રહી છે.