આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, જગદીશભાઈ મહેતા પર એફઆઇઆર પર એફઆઇઆર થઈ રહી છે બીજી બાજુ પટ્ટાવાળી ચાલી રહી છે. જીગ્નેશ મેવાણીએ દારૂ મુદ્દે જે નિવેદન આપ્યું તેને લઈને ભાજપના તમામ નેતાઓ અને ગૃહમંત્રી જીગ્નેશ મેવાણી પર તૂટી પડ્યા. જનતા કંઈ બોલતી નથી કારણ કે જનતાને પોલીસથી ડરાવીને રાખી છે.
ફક્ત જનતાને નહીં પરંતુ ભાજપે પોલીસને પણ પોલીસથી ડરાવીને રાખી છે. ભાજપના કહેવા પ્રમાણે કામ નહીં કરો તો બદલી થઈ જશે સસ્પેન્ડ થઈ જશે આવો ડર પોલીસવાળાઓને પણ દેખાડવામાં આવે છે. જો લોકો બોલવા લાગે અને ભાજપનો ડર એકદમ ખતમ થઈ જાય તો ભાજપના નેતાઓનું એક પણ ગામમાં જવું મુશ્કેલ બની જાય, એટલી હદે જનતામાં આક્રોશ છે. જગદીશભાઈ મહેતા ચૈતર વસાવા, જીગ્નેશ મેવાણી એવા લોકો છે જે જ્યારે બોલે તો જનતાનો ડર ઓછો થાય છે. સરકારને એ ડર છે કે આ તમામ નેતાઓ બોલશે અને જનતાનો ડર ઓછો થઈ જશે તો ભાજપના પાટીયા પડી જશે.
જનતામાંથી પોલીસનો ડર ઓછો ન થઈ જાય એની ચિંતા ભાજપના નેતાઓ કરે છે. મુદ્દો એ છે કે જગદીશ મહેતા બોલે છે તો ખેડૂતો સાંભળે છે અને જગદીશ મહેતાના સાંભળ્યા બાદ ખેડૂતો સહિત તમામ જનતામાં હિંમત આવે છે અને હિંમતથી પછી જનતા ભાજપની સામે બોલે છે એનાથી હર્ષ સંઘવી અને ભાજપની ટોળકીને વાંધો છે. જનતામાંથી ભાજપનો ડર ઓછો થાય એ ભાજપ ઈચ્છતી નથી. પરંતુ હું ગુજરાતની જનતાને કહીશ કે જેટલું બોલાય એટલું બોલો. ભાજપના લોકોએ તો કરોડોના ભ્રષ્ટાચાર કર્યા, ગૌચરો દબાવી દીધી, બળાત્કારો કર્યા, દારૂ વેચે છે, ડ્રગ્સ વેચે છે, એના કરતા આપણે ફક્ત પોતાનો અવાજ ઉઠાવીએ અને બોલીએ એ ખૂબ જ સારી બાબત છે. ગુજરાતની જનતાને પૂછવા માગું છું કે ડરવાથી શું મળશે?
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ યુવાનોને મનમાંથી ડર કાઢવાની સલાહ આપતા કહ્યું હતું કે, હજારો કરોડ લોકો જીવનમાં કશું જ કામ ખોટું કરતા નથી. કરોડો લોકો શ્રમ,મજૂરી કરીને જાત મહેનતથી જિંદગી જીવે છે. તો પછી ભાજપથી કે પોલીસથી ખોટી રીતે ડરવાની ક્યાં જરૂર છે. છતાં પણ લોકોને ડરાવવામાં આવે છે. હું યુવાનોને વિનંતી કરું છું કે ડર છોડી દો અને બોલવા લાગો, સરદાર પટેલ, ભગતસિંહ, ગાંધીજી આ બધા મહાપુરુષો જ્યારે આપણા દેશમાં હતા ત્યારે તેમણે પણ લોકોના મનમાંથી અંગ્રેજોનો ડર કાઢવાનું કામ કર્યું હતું. કારણ કે અંગ્રેજો કરતાં ભારત દેશના લોકોની સંખ્યા વધુ હતી. ત્યારે દસ બાર કરોડ લોકો ઉપર બે પાંચ હજાર લોકોનું શાસન હતું.
અંગ્રેજો જૂજ સંખ્યામાં હતા પરંતુ તેમણે ડર ફેલાવ્યો હતો. એવી જ રીતે આજે ગુજરાતની જનતાની સંખ્યા સાત કરોડ છે અને અંગ્રેજોની સીધી લીટીના વારસદાર ભાજપના નેતાઓની સંખ્યા બે થી પાંચ હજાર હશે. પાંચ હજાર નેતાઓથી સાત કરોડ લોકો ડરીને બેઠા છે. હું તમારો આત્મા જગાડવા માટે અને વિનંતી કરવા માટે આવ્યો છું કે તમે લલકાર ફેંકો જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં વિડિયો ઉતારો. આ લોકો કેટલા લોકોને પકડશે, કેટલા લોકોને જેલમાં નાખશે અને ફાંસીએ ચઢાવશે. આપણે કોઈ કશું જ ખોટું કામ નથી કરી રહ્યા. જગદીશ મહેતા ઉપર ધડાધડ એફઆઇઆર થવા લાગી. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે “ભ્રષ્ટાચાર કરનાર લોકોના પટ્ટા ઉડી જશે” તો હર્ષ સંઘવીના પેટમાં તેલ રેડાયું.


