ગુજરાતમાં રેલ સંરક્ષા અને વિકાસની દિશામાં નિરંતર આગળ વધી રહેલી ભારતીય રેલવે દ્વારા રેલ સંરક્ષા તથા આધારભૂત માળખાની મજબૂતી માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમા તારીખ 26.12.2025ના રોજ પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક(ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશે વરિષ્ઠ રેલ અધિકારીઓ સાથે સાબરમતી–કલોલ–મહેસાણા–પાલનપુર રેલ વિભાગનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન સાબરમતીથી પાલનપુર વચ્ચેના રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, નાના તથા મુખ્ય પુલો, પોઇન્ટ્સ અને ક્રોસિંગ, સેક્સનના કર્વ્સ, ક્રોસિંગ તેમજ વિવિધ સુરક્ષા ધોરણોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી અને સંબંધિત અધિકારીઓ સાથે સંરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
નિરીક્ષણ દરમિયાન સાબરમતી–કલોલ સેક્સન વચ્ચે સ્થિત લેવલ ક્રોસિંગ નં. 240 (એસપીએલ) પર ચાલી રહેલા રિપેરિંગ અને સંરક્ષા કાર્યોની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તેમજ કલોલ રેલવે સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. ડાંગરવા યાર્ડમાં પોઇન્ટ્સ અને ક્રોસિંગ (પીએન્ડસી) તેમજ સ્વિચ એક્સપેન્શન જોઇન્ટ્સ (એસઈજે)નું નિરીક્ષણ કરવામાં આવ્યું અને કર્વ્ નં. 116ની સંરક્ષા તપાસ કરવામાં આવી. આ ઉપરાંત મુખ્ય પુલ નં. 965 ડીએન (કમ્પોઝિટ ગર્ડર) નું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. ખારી નદી પર કાર્યરત પી-વે ગેંગનું નિરીક્ષણ કરતા મંડલ રેલ પ્રબંધકે ગેંગમેનો સાથે સંવાદ કર્યો અને ઉપયોગમાં લેવાતા સુરક્ષા સાધનો અંગે માહિતી મેળવી.
મહેસાણા સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન આરપીએફ પોસ્ટની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી તેમજ રેલવે હેલ્થ યુનિટનું નિરીક્ષણ કરીને ઉપલબ્ધ તબીબી સુવિધાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. સાથે સાથે રેલવે કોલોનીની સુવિધાઓનું અવલોકન કરવામાં આવ્યું અને સ્ટેશન પરિસરમાં નવા વિકસિત પાર્કનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. ઉંઝામાં રોડ અંડર બ્રિજનું નિરીક્ષણ કરીને સંરક્ષા અને મુસાફર સુવિધાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું સાથે જ સિદ્ધપુરમાં રેલવે કોલોનીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
કલોલ, મહેસાણા અને પાલનપુર રેલવે સ્ટેશનો પર માસ્ટર કેબિન, બુકિંગ કાઉન્ટર, ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ,વેટિંગ રૂમ સહિત વિવિધ આધારભૂત સંરચના કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસિત કરવામાં આવી રહેલા મહેસાણા, પાલનપુર અને સાબરમતી સ્ટેશનોના પુનર્વિકાસ કાર્યોની પ્રગતિનું પણ ઊંડાણપૂર્વક સમીક્ષા કરી. નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે સંબંધિત અધિકારીઓને કાર્યોની ગુણવત્તા, સમયસર પૂર્ણતા તેમજ મુસાફરોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના આપી.