જૂનાગઢ : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગો (એગ્રો ઇન્ડસ્ટ્રીઝ)ની સ્થાપના માટે કરેલી રજૂઆત અંગે ગુજરાત સરકાર તરફથી મળેલા પ્રતિભાવને સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોની ખેતપેદાશોનું ગ્રેડિંગ, ક્લિનિંગ, પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ જેવા કાર્યો જૂનાગઢ જિલ્લામાં જ થાય તેમજ ખેડૂતોની ઉપજમાં મૂલ્યવૃદ્ધિ (વેલ્યૂ એડિશન) થાય તે હેતુથી જૂનાગઢ જિલ્લામાં એગ્રો બેઈઝ્ડ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવા રજૂઆત કરી હતી. સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે આ રજૂઆતની નોંધ લેવામાં આવી હોવાનું જણાવતાં આગળની કાર્યવાહી માટે ઉદ્યોગ કમિશનરની કચેરીને અનુલક્ષી પત્ર પાઠવવામાં આવ્યો હોવાનું પોતાના પ્રતિભાવમાં જણાવ્યું છે.
સરકારના પ્રતિભાવમાં વધુમાં જણાવાયું છે કે જૂનાગઢ જિલ્લામાં કૃષિ, ઓટોમોબાઇલ અને રોજગારલક્ષી ઉદ્યોગોના વિકાસ માટે જમીનની ઉપલબ્ધિ, કાચા માલની સુલભતા, આંતરમાળખાકીય સુવિધાઓ, કુશળ માનવબળ અને બજાર જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે છે. સાથે જ સરકાર દ્વારા કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રાધાન્ય આપવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને તેમની ખેતપેદાશોનું યોગ્ય મૂલ્ય મળે, સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય અને કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે એગ્રો બેઈઝ્ડ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના અત્યંત જરૂરી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત