અમદાવાદ/ગુજરાત : ગુજરાતમાં NEETનું પેપર લીક થતા લાખો યુવાનોના સપનાઓ તૂટી ગયા છે. સામાન્ય પરિવારમાંથી આવતા અનેક વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા આપવા દૂર દૂર સુધી જવું અને તેનો ખર્ચ ઉઠાવવો ખૂબ મુશ્કેલ બની ગયો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરતા જણાવ્યું હતું કે અનેક યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે બસ અથવા ટ્રેનમાં દૂર સુધી જવાના ભાડા પણ હવે તેમને પોસાતા નથી. આ અંગે અરવિંદ કેજરીવાલજીએ પણ યુવાનોને વિશ્વાસ આપ્યો હતો કે આમ આદમી પાર્ટી દરેક મુશ્કેલીમાં તેમની સાથે છે. યુવાનો દ્વારા મળેલી રજૂઆતો બાદ અરવિંદ કેજરીવાલજીએ પંજાબ સરકારને સૂચન કર્યું હતું, જેના આધારે પંજાબ સરકારે 20, 21 અને 22 તારીખે NEET પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે માત્ર આઈકાર્ડ બતાવવાથી સરકારી બસ અને અન્ય સરકારી સેવાઓમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના અનેક યુવાનોએ પણ આમ આદમી પાર્ટીને અપીલ કરી છે કે ગુજરાત સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવે. જામનગર, ઉમરગામ, સોમનાથ, વલસાડ અને કપરાડા જેવા વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે લાંબા અંતર સુધી જવું પડે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના પરિવારો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. તેથી આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે કે પંજાબ સરકારની જેમ ગુજરાતમાં પણ NEET પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસ સુધી સરકારી બસ સહિતની સરકારી મુસાફરી સેવાઓ મફત કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને રાહત મળી શકે.
આમ આદમી પાર્ટી ગુજરાત