ચાણસ્મા: પાટણ જિલ્લાના ચાણસ્મા (Chanasma) તાલુકાના ખારી ધારીયાલ (Khari Dhariyal) ગામે ઠાકોર સમાજ દ્વારા સામાજિક પરિવર્તનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. 19 જાન્યુઆરી, 2026 ના રોજ મળેલી સમાજની મોટી બેઠકમાં દારૂ જેવા જીવલેણ વ્યસનને જડમૂળથી નાબૂદ કરવા અને લગ્ન-મરણના ખોટા ખર્ચાઓ પર લગામ લગાવવા માટે એક નવું સામાજિક બંધારણ (Social Constitution) અમલમાં મૂકવામાં આવ્યું છે.
આ બેઠકમાં સમાજના અગ્રણીઓએ એકસૂરે સ્વીકાર્યું હતું કે, સમાજની પ્રગતિમાં સૌથી મોટો અવરોધ વ્યસન અને દેખાદેખીમાં થતા ખોટા ખર્ચાઓ છે. આ નિર્ણયથી ગામના સેંકડો પરિવારોને આર્થિક અને સામાજિક સુરક્ષા મળશે.
દારૂ મુક્તિનો કડક સંકલ્પ
ખમીરવંતા ઠાકોર સમાજ (Thakor Samaj) ને બરબાદ કરતા દારૂના વ્યસન સામે ગામના યુવાનો અને વડીલોએ સામૂહિક જંગ છેડ્યો છે. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ગામમાં વ્યસન મુક્તિનો કડક અમલ કરવામાં આવશે અને નિયમ તોડનાર સામે સામાજિક સ્તરે પગલાં લેવામાં આવશે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે દરેક પરિવારને વ્યસન મુક્ત રહેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
ખોટા ખર્ચાઓને તિલાંજલિ: નવું બંધારણ
લગ્ન પ્રસંગોમાં થતા ભપકા અને મરણ બાદ કરવામાં આવતા જમણવાર જેવા ખોટા ખર્ચાઓને કારણે અનેક પરિવારો દેવાના ડુંગર હેઠળ દબાઈ જતા હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે ખારી ધારીયાલ ઠાકોર સમાજે મરણ પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચ બંધ કરવા અને લગ્નમાં મર્યાદિત ખર્ચ કરવાના નિયમો બનાવ્યા છે.
આ પ્રસંગે ઠાકોર સમાજના અગ્રણી વિક્રમજી, ભોમજી ઠાકોર, ઈટોદાના પૂર્વ તલાટી ચેહુજી ઠાકોર, શંભુજી ઠાકોર અને અમરતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ ઐતિહાસિક નિર્ણયને વધાવી લીધો હતો અને અન્ય ગામો માટે પણ આ એક પ્રેરણારૂપ પગલું સાબિત થશે.


