અમદાવાદ : આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને પ્રદેશ કિસાન સેલ ઉપપ્રમુખ પિયુષ પરમારે વિડીયોના માધ્યમથી વરસાદના કારણે નુકસાની ભોગવી રહેલા ખેડૂતો મુદ્દે વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્રના પંથકમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં અતિશય વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસમાં માંગરોળ, માળીયાહાટી અને ચોરવાડ પંથકમાં 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કેશોદ, સુત્રાપાડા અને મેંદરડામાં પણ અતિશય વરસાદ પડ્યો છે, ત્યારે મારા ખેડૂત સમાજને ખૂબ નુકસાની થઈ છે. આ વીડિયોના માધ્યમથી હું ગુજરાત સરકારની વિનંતી કરું છું કે તાત્કાલિક સર્વે કરાવીને જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ 24 કલાકમાં 20 ઇંચથી વધારે વરસાદ થાય તો હેક્ટર દીઠ 25 હજાર રૂપિયા ચૂકવવાની જોગવાઈ છે. તો સ્થાનિક કલેકટર, મામલતદાર અને પ્રાંત અધિકારીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે. તમામ ખેડૂત સમાજને પણ મારી અપીલ છે કે જ્યાં જ્યાં પણ નુકસાની થઈ છે, ત્યાં તમે જઈને વિડીયો બનાવી લો, વિડીયો બનાવ્યા બાદ ગામના જે તલાટી મંત્રી છે તેમને સર્વે કરવા માટે કહો. આ હજુ પહેલો વરસાદ છે અને વાવણીનો સમય છે, માટે મારી અપીલ છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે. હું તમામ પ્રતિનિધિઓને પણ વિનંતી કરું છું કે આ કોઈ પક્ષની લડાઈ નથી પરંતુ જે ખેડૂત સમાજને નુકસાન થયું છે તેનો સર્વે કરાવવામાં આપ પણ ખેડૂતોને વ્હારે આવો.
આમ આદમી પાર્ટી ગુજરાત